National

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું હેલીકોપ્ટર ગુજરાતમાં બગડ્યું!!

વડનગરમાં એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ખામી: અમદાવાદ બાય રોડ પહોંચ્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મોટી અણધારી ઘટના સામે આવી છે. વડનગર ખાતે તેમના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પીએમ મોદીના વતન વડનગરની મુલાકાત પૂર્ણ કર્યા બાદ હેલિકોપ્ટર ઉડાન ભરી શકે તેમ ન હોવાથી તેઓ તાત્કાલિક માર્ગ માર્ગે અમદાવાદ જવા રવાના થયા હતા.

આ મામલે મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ શિંદે વડનગરથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરશે. ઘટનાને પગલે તેમની સુરક્ષા અને પ્રવાસની વ્યવસ્થા અંગે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

એકનાથ શિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. વડોદરામાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન શિંદેએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ જાેવા મળ્યા હતા.

શિંદેએ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને તેમના જન્મદિવસ અંગે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ દરમિયાન એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચેની મુલાકાત પણ ચર્ચામાં રહી છે. બંને નેતાઓ એક સાથે જાેવા મળ્યા હતા અને તેમની મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ મહારાષ્ટ્રના રાજકારણને લઈને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા અંગે વિવિધ અટકળો ચાલી હતી. જાેકે, દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહારાષ્ટ્રમાં જ રહેશે.

હાલ એકનાથ શિંદેની ગુજરાત મુલાકાત દરમિયાન હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ વડનગરથી અમદાવાદ રોડ માર્ગે રવાના થયા હતા.