મુંબઈ
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ૨૭ પેન્ડિંગ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓના પુનઃસીમાંકનનો આદેશ આપતો પરિપત્ર બહાર પાડયો છે. તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મહાવિકાસ અઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન સીમાંકન કરાયેલા વોર્ડનું સીમાંકન રદ કરીને વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીની જેમ પુનઃસ્થાપિત કરવામાં આવશે.આથી એકાદ બે મહિનામાં ગમે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાનીચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા નગર વિકાસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે,૦૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મહારાષ્ટ્ર એક્ટમાં કરાયેલા સુધારા મુજબ જે મ્યુનિસિપલ કોર્પોરેશનોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. અથવા જેમની મુદત પૂરી થવા જઈ રહી છે.તેમની ચૂંટણી માટે ઉપલબ્ધ વસ્તી ગણતરી મુજબ વોર્ડની સંખ્યા, સીમાંકન નક્કી કરો અને વિભાગોનું ફોર્મેટ તૈયાર કરવા કાર્યવાહી કરો. સરકારના આ આદેશ બાદ હવે મહાનગરપાલિકાની જાહેર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી રહી છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે મુંબઈમાં માત્ર ૨૨૭ વોર્ડ પર જ ચૂંટણી યોજાશે. કારણ કે રાજ્ય સરકારે મુંબઈમાં ૨૩૬ વોર્ડ બનાવવાના મહાવિકાસ આઘાડી સરકારના ર્નિણયને પલટી નાખ્યો હતો. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે એકાદ બે મહિનામાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
