પાટણ
રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કાયદા અનુસ્નાતક વિભાગ અને નેહરુ યુવા કેન્દ્રના સંયુક્તના ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અઘ્યક્ષીય ઉદબોધનમાં કુલપતિ પ્રો.ડો. વોરા દ્વારા બંધારણ દિવસ ઉપરાંત મુંબઈ તાજ હોટલ પરના હુમલાને લઈને શોક પણ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ઉન્નત ભારત યોજના વિશેની માહિતી આપી હતી. રજીસ્ટાર ડો. આર.એન.દેસાઈએ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. ભૂષણ પાર્ટીલ દ્વારા ૨૬/૧૧ની માહિતી અપાઈ હતી અને મુંબઈની તાજ હોટેલ પરના હુમલામાં શહીદ થયેલાની યાદમાં બે મિનિટ મૌન પાળ્યું હતું. પાટણની લો કોલેજના આચાર્ય ડો.કિન્ના ચડોકિયા દ્વારા બંધારણ એક ગીતા છે એમ જણાવી સમાનતાના અધિકાર અંગે વિસ્તૃત વાત કરી હતી. ડો. ઋષિકેશ વ્યાસ, કિશન ડી.ટી. લો કોલેજ અમદાવાદ દ્વારા આઈપીઆર બૌદ્ધિક સંપત્તિના અધિકારો વિશે માહિતી અપાઈ હતી જ્યારે ડો. અંકિત રામી, પ્રિન્સિપાલ ડી.ટી.લો કોલેજ અમદાવાદ દ્વારા બંધારણના અધિકારો ફરજાે અને પોકસોના અનેક કેસો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. પાટણ કોર્ટના સિનિયર એડવોકેટ બીપીન બારોટ દ્વારા બંધારણમાં સ્ત્રીઓના અધિકારો, રક્ષણ તથા ભરણપોષણ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, યુનિવર્સિટી ગીત તેમજ દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલપતિ પ્રો. ડો.જે.જે વોરા, ડો. આર.એન.દેસાઈનીવિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડો.સ્મિતા વ્યાસ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંવિધાન દિવસના મહત્વ વિશેની માહિતી આપવામાં આવી હતી. કાયદા અનુસ્નાતક વિભાગના ફેકલ્ટી નિધી ગોહિલ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. વિજયસિંહ ઠાકોર દ્વારા આભારવિધિ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન બિનલ બારોટના માર્ગદર્શનમાં વિદ્યાર્થીની અનિશા નાગોરી તથા નિશા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


