મુંબઇ
ફોર્બ્સ એશિયાની હિરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી. આ યાદીની ૧૬મી આવૃત્તિમાં ભારતીય અબજાેપતિ ઉદ્યોગપતિઓ- ગૌતમ અદાણી, શિવ નાદરની સાથે અશોક સૂતાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે મલેશિયન-ભારતીય અબજાેપતિ ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાને પણ જગ્યા આપવામાં આવી છે.ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ ‘અનરેન્ક્ડ લિસ્ટ’માં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પરોપકારી કાર્યો માટે વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવી છે. ફોર્બ્સ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે અદાણીએ આ વર્ષે જૂનમાં તેમના ૬૦માં જન્મદિવસ પર રૂ. ૬૦,૦૦૦ કરોડ (૭.૭ બિલિયન) દાનમાં આપ્યા હતા. તેમના દ્વારા દાન કરવામાં આવેલી આ રકમ તેમને ભારતમાં સૌથી વધુ પરોપકારી બનાવે છે. આ રકમ અદાણી દ્વારા ૧૯૯૬માં સ્થાપિત અદાણી ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવી છે. આ રકમનો ઉપયોગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં કરવામાં આવશે. એચસીએલના સ્થાપક શિવ નાદરનું નામ પણ ભારતના સૌથી પરોપકારી લોકોમાં સામેલ છે, જેમણે શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમની સંપત્તિમાંથી એક અબજ ડોલરથી વધુનું દાન કર્યું છે. આ વર્ષે તેણે રૂ. ૧,૧૬૦ કરોડ (૧૪૨ મિલિયન) દાનમાં આપ્યા છે. પીઢ ટેક ઉદ્યોગપતિ અશોક સૂતાએ આ વર્ષે તબીબી સંશોધન માટે તેમના ફાઉન્ડેશનને ૬૦૦ કરોડ (૭૫ મિલિયન)નું દાન આપ્યું છે. વધુમાં, મલેશિયન-ભારતીય અબજાેપતિ ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાએ આ વર્ષે રૂ. ૯૩ કરોડ (૧૧ મિલિયન)નું દાન આપ્યું છે.


