જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો બાગાયત વિભાગ, જામનગર દ્વારા ચાલતી વિવિધ સહાય અને લાભો મેળવવા માટે આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ સુધી આઇ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
બાગાયત વિભાગ દ્રારા ચાલતી વિવિધ સહાયો જેમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર સહાય યોજના, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ સહાય, ટુલ્સ, ઇકવિપમેન્ટ, શોર્ટિંગ અને ગ્રેડીંગના સાધનો, પી.એચ.એમ.ના સાધનો જેમાં વજનકાંટા, પેકિંગ મટીરીયલ્સ, પ્લાસ્ટિક ક્રેટ્સ પર સહાય યોજના હાલમાં બાગાયત વિભાગ દ્વારા કાર્યરત છે.
આ ઉપરાંત, કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ જેમાં પ્રાયમરી, મોબાઇલ અને મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, રાઇપનિંગ ચેમ્બર (મહત્તમ ક્ષમતા ૩૦૦ મે. ટન), રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહિકલ અને વિવિધ યોજનાઓ હાલમાં બાગાયત વિભાગ દ્વારા કાર્યરત છે.
રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને લાભો મેળવવા માંગતા તમામ ખેડૂતોએ આઇ.ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા (અનુસૂચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાંની નકલ સાથે જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૦૪, પહેલો માળ, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
