Gujarat

શિવરાજપુર બીચ ખાતે ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા રમણીય રેતશિલ્પ મહોત્સવ

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતેથી સોમવારે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેત શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રેતશિલ્પકારોએ અદભુત પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી કળા પ્રદર્શિત કરી હતી. જેમાં શ્રીકૃષ્ણ – અર્જુન, દ્વારકાધીશ મંદિર, લાલ કિલ્લો, જી-૨૦ સિમ્બોલ, જલપરી, સોમનાથ મહાદેવ શિવલિંગ, હનુમાનજી, ઓખો જગથી નોખો તથા ગણેશજીની સુંદર પ્રતિકૃતિ બનાવી હતી. આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ “રણ સંગ્રામ મધ્યે શ્રીકૃષ્ણાર્જુન” નક્કી કરવામાં આવી હતી. જે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને રણ સંગ્રામ સમયે ગીતા ઉપદેશ આપ્યો હતો તેનું નિદર્શન કરે છે. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. આ કાર્યક્રમમાં લલિત કલા અકાદમીના સચિવ ટી.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતસિલ્પ કલાકારોને પોતાની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સ્થળ શિવરાજપુર ખાતે ફરવા આવતા સહેલાણીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વધુ જાણકારી મળે તે હેતુથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઓખા નગરપાલીકા પ્રમુખ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, મીઠાપુરની ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટના આસિસ્ટન્ટ મેનેજર, ટી.સી.એસ.આર. ડી.ના પ્રોગ્રામ તથા શિવરાજપુર બીચના મેનેજર ઊપસ્થિત રહ્યા હતા. અહીં બહોળી સંખ્યામાં આવેલા સહેલાણીઓએ મહોત્સવ નિહાળ્યો હતો. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા શિવરાજપુર બીચ ખાતે બે દિવસીય રેતશિલ્પ મહોત્સવ યોજાયો હતો. જેમા રેતશિલ્પકારોના શિલ્પ નિહાળવા માટે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ, કલાપ્રેમીઓએ મુલાકાત લીધી હતી. અહીં પ્રવાસીઓએ પ્રતિભાવો પણ આપ્યા હતા. રાજસ્થાનથી પોતાના પરિવાર સાથે શિવરાજપુર બીચ ખાતે આવેલા પર્યટક રાજેશકુમારે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે અત્યંત રમણીય અને સુંદર શિવરાજપુર બીચ ખાતે પ્રવાસે આવ્યો હતો. ત્યાં મને ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત રેતશિલ્પ મહોત્સવ નિહાળ્યો હતો. જેમાં રેતશિલ્પ કલાકારો દ્વારા વિવિધ રેતશિલ્પો કંડારવામાં આવ્યા હતા. જેમાં રણ સંગ્રામ મધ્યે ચાર અશ્વો વાળા રથ પર બિરાજમાન શ્રીકૃષ્ણ-અર્જુનની રેત પર બનાવાયેલી પ્રતિકૃતિ અત્યંત મનમોહક હતી. તેમજ હાલમાં ગુજરાતમાં જી-૨૦ સમિટ યોજાનાર છે. જેની ઉત્કૃષ્ટ પ્રતિકૃતિ પણ કંડારવામાં આવી હતી. રેત શિલ્પ કલાકારો દ્રારા ભારતીય સંસ્કૃતિની ઓળખ દર્શાવતી વિવિધ પ્રતિકૃતિઓમાંથી લોકોને રેત શિલ્પ કલા શીખવા પ્રેરણા મળે છે. લોકો રેતશિલ્પ કલા વિશે વધુ જાણકારી મેળવવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં આવેલા શિલ્પકાર નથુ ગરચરે જણાવ્યું હતું કે, હું પોરબંદરનો રહેવાસી છું અને આશરે ૧૪ વર્ષની ઉમરથી જ રેતીના શિલ્પ બનાવું છું. અત્યાર સુધી હું પોરબંદરના દરિયા કિનારા ઉપર આ શિલ્પ બનાવતો હતો. પરંતુ ગુજરાત લલિત અકાદમીના આ રેત શિલ્પ મહોત્સવ અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે રેત શિલ્પ મહોત્સવમાં ભાગ લેવા આવ્યો છું. આ મહોત્સવ થકી શિલ્પકારોને પ્રોત્સાહન અને આગવી ઓળખ મળી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મને બાળપણથી જ દરિયા કાંઠે ફરવાનો અને રેતીમાંથી શિલ્પ બનાવવાનો શોખ રહ્યો છે. આજે મેં મહાભારત યુદ્ધ દરમિયાન ગીતા બોધ આપતા રથ પર સવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનું રેત શિલ્પ બનાવ્યું છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *