જૂનાગઢ જિલ્લાની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં સરકારશ્રીના ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેકટીવીટી ઇન જનરલ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના ૮ ગામના રૂા. ૨.૬૩ કરોડ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જે અનવ્યે જૂનાગઢ જિલ્લાના ૮ ગામમાં રૂ. ૨.૬૩ કરોડના ખર્ચે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા માટે વિકાસ કામો હાથ ધરાશે.
આ ૮ ગામોમાં માંગરોળ તાલુકાના લોએજ ગામ માટેની રૂા. ૩૩.૦૬ લાખ, માળીયા હાટીના ધરમપુર ગામની રૂા.૪.૯૬ લાખ, જૂનાગઢના બગડું ગામની રૂા.૪.૦૯ લાખ, વિસાવદરના ઈશ્વરીયા (ગીર)ની રૂા ૨૬.૩૮ લાખ, વિસાવદરના નાના હડમતીયા ગામની રૂા ૧૨.૬૫ લાખ, માણાવદરના શેરડી ગામની રૂા. ૩૧.૮૫ લાખ, વંથલી તાલુકાના કોયલી ગામની રૂા ૭૪.૮૧ લાખ, વંથલીના સાંતલપુર ગામની રૂા ૭૬.૦૫ લાખ રૂપિયાના કામ ને મંજુરી આપવામા આવી છે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૦૭ થી વાસ્મોનું જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કાર્યરત થયેલ, જેના દ્વારા આજ દિન સુધીમાં થયેલ કામોની પ્રગતિની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી. તેમજ જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ અન્વયે જીલ્લાના પુર્ણ થયેલ ૨૪ ગામોની યોજનામા થયેલ વધારા સહ આ યોજનાઓની રીવાઇઝડ વહીવટી મંજુરી આપવામા આવી હતી.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણીયા,જૂનાગઢ વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વી.વી.કારિયા,આરોગ્ય અધિકારી શ્રી લાખાણી,પાણી પુરવઠા બોર્ડના કા.ઇ.શ્રી નાઇ,અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના શ્રી ભરખડા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

