ભૂલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે.જાણતાં કે અજાણતાં દરેકથી નાની-મોટી ભૂલો થઇ જ જાય છે.હવે થઇ ગયેલ ભૂલોને છુપાવવા માટે જુઠું બોલવું તેના કરતાં વિનમ્રતાપૂર્વક ભૂલોનો સ્વીકાર કરવો એ જીવનનો શ્રેષ્ઠ ગુણ છે.ભૂલોને છુપાવવા જુઠું બોલવું એ મોટામાં મોટી ભૂલ છે.ભૂલો છુપાવો નહી પરંતુ ભૂલોને સુધારો.
જ્યારે અમે જૂઠું બોલીને ભૂલોને છુપાવવા પ્રયત્ન કરીએ તો અમારા જીવનમાં અમારા સુધરવાની સંભાવના રહેતી નથી.જો આપણને જૂઠું બોલવાની ટેવ પડી જાય તો પછી સત્ય બોલવું અમારા માટે કઠિન થઇ જાય છે.જૂઠું ના બોલાય તેવો પ્રયાસ કરીએ અને સત્ય એવું બોલીએ કે તેનાથી કોઇ બીજાને પીડા ના થાય.પોતાનાથી થયેલ ભૂલોનો સ્વીકાર કરવાથી આપ બીજાઓની નજરમાં ક્ષમાના પાત્ર બની જાઓ છો.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો નાની ભૂલને ભૂલ ન સમજવી એ મોટામાં મોટી ભૂલ છે.ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરી લેવા માત્રથી કોઇ એમ વિચારે કે હું ભવસાગર પાર થઇ જઇશ તો તે મનુષ્યની મોટી ભૂલ છે કારણ કે પોતાની બુધ્ધિથી વિચાર કરીને પોતાના કર્મોથી તે જ્ઞાનમાર્ગને અ૫નાવવામાં ના આવે તો તે શિષ્ય ગુરૂકૃપાનો પાત્ર બની શકતો નથી.
માનવજન્મ ખુબ જ દુર્લભ છે તેને પામીને જે મનુષ્ય ૫રમાત્માની પ્રાપ્તિના સાધનમાં તત્પરતાથી નથી લાગ્યા તે ખુબ જ મોટી ભૂલ કરે છે એટલે જ્યાંસુધી આ દુર્લભ માનવશરીર વિદ્યમાન છે..ભગવાનની કૃપાથી ભૌતિક સાધન સામગ્રી ઉ૫લબ્ધ છે ત્યાંસુધી બને તેટલું વેળાસર ૫રમાત્માને જાણી લેવા જોઇએ,નહીં તો વારંવાર સંસારના પ્રવાહમાં વહેવું ૫ડશે..!
ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
નિન્દા અને સ્તુતિ આ બંન્ને ૫રકૃત ક્રિયાઓ છે અને એ ક્રિયાઓથી રાજી કે નારાજ થવું એ ભૂલ છે. વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે,પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે.પરમાર્થ સહેલો છે.વ્યવહાર કઠણ છે.વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી.વ્યવહારમાં બહુ સાવધાનીની જરૂર છે.
સંસાર પ્રતિક્ષણે ૫રિવર્તનશીલ છે અને જીવ નિત્ય અપરિવર્તનશીલ છે.જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સબંધને નિત્ય માની લે છે.જેમનો આપણી સાથે વાસ્તવિક અને નિત્ય સબંધ છે તે ૫રમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઇએ.
જે ભૂલો અમારાથી ભૂતકાળમાં થઇ ગઇ છે તેમાં હવે કોઇ સુધારો થઇ શકે તેમ નથી પરંતુ આત્માવલોકન અવશ્ય કરી શકાય છે.ભવિષ્યમાં અમે ભૂતકાળમાં થયેલ ભૂલોને ફરીથી ના કરીએ એવો પ્રયાસ કરવો જોઇએ.ભૂલો કરવી ખરાબ નથી પરંતુ એકની એક ભૂલ વારંવાર કરવી એ ખોટું છે.
મહાપુરૂષોનો મત છે કે આંધળો એ નથી જેને આંખો નથી પરંતુ આંધળો એ છે કે જેને પોતાની ભૂલો દેખાતી નથી.પોતાની ભૂલો ના જોવી એ અંધાપન છે અને આ અંધાપન જ અમારી પ્રગતિને રોકે છે. જીવનમાં હરક્ષણ પોતાની સાથે વિતાવો અને કેટલોક સમય સ્વ-નિરીક્ષણમાં લગાવો.
ભૂતકાળને જોવા પાછા વળીને જોવાથી કોઇ ફાયદો થવાનો નથી પરંતુ તે પત્થરોને અવશ્ય યાદ કરજો જેની ઠોકર ખાઇને અમે નીચે પડી ગયા હતા.આવો પ્રગતિના પથ ઉપર નિરંતર આગળ વધવા અમારાથી ભૂતકાળમાં થયેલ ભૂલોને યાદ ન કરતાં,નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરવા એક આદર્શ જીવન જીવવાનો સંકલ્પ કરીએ..
મનુષ્ય અલ્પજ્ઞ છે તેથી તેનાથી ભૂલો થાય છે.બુદ્ધિમાન વ્યક્તિએ ભૂતકાળમાં તેમના દ્વારા થયેલ ભૂલોમાંથી બોધપાઠ લઇને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા સંકલ્પ કરવો જોઇએ.મોટા ભાગના લોકો પોતે પોતાને બુદ્ધિમાન માને છે પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે તે લોકો પોતાને જેટલા બુદ્ધિમાન સમજે છે અને માને છે એટલો બુદ્ધિમત્તાનો તે વ્યવહાર કરતા નથી.
બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે તેને કોઇ ભૂલ બતાવે અને સમજાવવા પ્રયત્ન કરે તો તેનો સ્વીકાર કરે. જે પોતાની ભૂલ સમજવા જ તૈયાર નથી અને ઉલ્ટી-સીધી વાતો કરીને કે છળકપટ કરીને પોતે જ સાચો છે તે સાબિત કરવા પ્રયત્ન કરે તે મૂર્ખ છે.આવા મૂરખ સમાજના નિયમોની ઉપેક્ષા કરીને મનમાની કરે છે અને પોતાનું જ નુકશાન કરે છે.


