વર્ષ -૨૦૧૫થી રાજ્યભર સહિત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત થયેલ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવાને ૮ વર્ષ પૂર્ણ થયા છે. આ ૮ વર્ષ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૩૩૨૫ મહિલાઓએ ૧૮૧ અભયમ હેલ્પલાઈન સેવાનો લાભ લીધો છે. આમ, મહિલાઓ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન સેવા સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે
૮ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા જૂનાગઢ જિલ્લામાં કુલ 333૨૫ જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી હતી. અને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૮૩૮૦ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. જૂનાગઢ જિલ્લામાં મહિલાઓની મદદ માટે જૂનાગઢ ૧૮૧ અભયમ હેલ્પલાઇના કાઉન્સિલર અરુણા કોલડિયા, કાઉન્સિલર પ્રિયંકા ચાવડા, કેશોદ ૧૮૧ અભયમ હેલ્પલાઇન કાઉન્સિલર ડાઇ માવદિયા સેવાભાવના ની કટિબદ્ધતા સાથે અસરકારક રીતે કાર્ય કરી રહયા છે.
જયારે વર્ષ ૨૦૨૨માં જૂનાગઢ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૧૧૩૫ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી. જેમાંથી ૭૩૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૩૭૩ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવેલ હતી.
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “૧૮૧ મહિલા હેલ્પલાઈન” ની સુવિધા શરુ કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ ૧૮૧ મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાત ની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે.
કઠવાડા અમદાવાદ ખાતે ની ટેકનિકલ સુવિધા થી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ ની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ના તમામ જિલ્લાઓ માં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.

