૨૮ જુલાઈ એટલે કે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ‘મારી માટી મારો દેશ’ થીમ અંતર્ગત તથા ‘પ્રકૃતિ બચાવો જીવન બચાવો’ વિષય ઉપર આંતર અનુસ્નાતક ભવન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કુલપતિશ્રી પ્રો.ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં પર્યાવરણના જતન વિષે તથા પ્રકૃતિના ટકાઉ વિકાસ સંદર્ભે જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. શરૂઆતમાં સ્વાગત પ્રવચન સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.જયસિંહ ઝાલાએ કર્યું હતું અને આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધા દરમિયાન પ્રકૃતિ અને પર્યાવરણનું જતન, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણના ગેરફાયદા, ઘટતું જતું ઓઝોન વાયુનું સ્તર, વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને તેનો ઉછેર, પ્રદુષણ ઘટાડવાના ઉપાયો, ગ્રીન ઇન્ડિયા ક્લીન ઈન્ડિયા વિગેરે ઉપર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. વકતૃત્વ સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે અમી સરવૈયા, દ્વિતીય ક્રમે કેયુર છેલાણા તથા તૃતીય ક્રમે દિવ્યા ખાણીયા વિજેતા થયા હતા. સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે પ્રો. ફિરોઝભાઈ શેખ તથા ડો.અનિતાબા ગોહિલે પોતાની સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ડો.પરાગ દેવાણીએ કર્યું હતું તથા અંતમાં આભારવિધિ ડો.ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી. વિવિધ અનુસ્નાતક ભવનોમાંથી ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓને પણ વિજેતાઓ સાથે સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.


