કેન્દ્રિય ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
કલેક્ટરે સૂચનાઓના આધારે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવમાં સરકાર દ્વારા ૯ ઓગસ્ટથી લઈ ૩૦ ઓગસ્ટ સુધી ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ રાજ્યથી લઈ જિલ્લા અને ગ્રામ્યકક્ષાએ પણ સ્વતંત્રતા સેનાનીઓ, શહીદો અને અનસંગ હીરો તેમજ નાયકોને યાદ કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની રૂપરેખા અંગે તમામ રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાઓના કલેક્ટર વર્ચ્યુઅલી જોડાયા હતાં. જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. આ તકે, જિલ્લા કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગમાં જોડાયા હતાં.
સમગ્ર જિલ્લામાં ‘મેરી માટી મેરા દેશ’ અંતર્ગત ‘શીલાફલકમ’,’વસુધાવંદન’, ’માટીને નમન વીરોને વંદન’ જેવા વિવિધ કાર્યક્રમનું સુચારૂ અમલીકરણ થાય તે અંગે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચરણે શીર્ષ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને માટીના દીવા સાથે સેલ્ફી, દરેક ગામે ૭૫ રોપા વાવી અમૃત વાટિકા બનાવવી જેવા વિવિધ કેમ્પેઈન અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો આપ્યા હતાં.
નોંધનીય છેકે, ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ મુખ્ય પાંચ થીમ પર યોજાશે. જે અંતર્ગત અમૃત સરોવરોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, સ્થાનિક વીરોને વંદન અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમો પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાશે. જ્યારે તા.૨૯ અને તા.૩૦ના રોજ દિલ્હીમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં આપણા જિલ્લામાંથી પણ માટીનો કળશ લઈ દિલ્હીના કર્તવ્યપથ પર યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.
આ વીડિયો કોન્ફરન્સમાં પ્રયોજના અધિકારી સચિનકુમાર, આધિક નિવાસી કલેકટર કે.ડી ભગત, નાયબ ડીડીઓ, નાયબ કલેકટર વગેરે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


