નવસારી
નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. ખાસ કરીને પૂર્ણા નદીના કારણે નવસારી શહેરમાં અસર થઇ છે. પૂર્ણા નદીની જળ સપાટી વધતા ૫ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. લોકોના ઘરોમાં ૧ ફૂટથી લઇને પાંચ ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા છે. જેથી પાલિકા દ્વારા આ લોકોને સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવસારી શહેર પૂર્ણા નદીના પ્રકોપથી જળબંબાકાર થઈ ગયું છે. કાશીવાડી, રંગૂન નગર ,મિથિલાનગરીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. નવસારી શહેરના ૩૦ ટકા ભાગ પર પાણી ફરી વળ્યું છે. નવસારીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા ૧૦ હજાર લોકો પ્રભાવિત થયા છે. તો વહીવટી તંત્રએ ગત રાતથી જ સક્રિય થઈને ૩ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ સ્થળાંતરિત લોકોના રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા પાલિકા તંત્રએ ગોઠવી છે.


