Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટઃ ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની ૯૨ ટકા કામગીરી પૂર્ણ

ગાંધીનગર
રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે, ઓખાથી બેટદ્વારકાને જાેડતો ‘સિગ્નેચર બ્રીજ’, જે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે ? ૯૭૮ કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનવા જઇ રહ્યો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે ૨૩૨૦ મીટરની લંબાઇના આ બ્રીજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે દરિયાઇ બાર્જ ક્રેનથી સમુદ્રમાં ૩૮ પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. માર્ચ ૨૦૧૮માં કામગીરી શરૂ થઇ ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રીજની ૯૨ ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર ૨૦૨૩ના અંત સુધીમાં આ બ્રીજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.
વિશેષતાઓઃ-
• બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર રહેશે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.
• ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ ૨૪૫૨ મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.
• બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ ૫૦૦ મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
• વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવશે.
• બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
• આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
• ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી ૧ મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
• બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.
• બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

File-02-Page-Ex-02-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *