ગત વર્ષ લામ્પી વાઇરસના રોગચાળામાંથી પશુઓને ઉગારી ગુજરાત સરકારના પશુપાલન નિયામકની કચેરી દ્વારા આ વર્ષે પણ પશુઓમાં રોગચાળો ફાટી ન નીકળે અને પશુઓ તંદુરસ્ત રહીને વધારે દૂધ આપી શકે આ માટે એફએમડી ડીસીઝથી બચવા ગામડે ગામડે ટીમ રસીકરણ માટે ફરે છે. છોટાઉદેપુર જીલ્લાના પાધરવાંટ ગામમાં અમારી મુલાકાત વેટરનીટી ડોક્ટર અને તેની આવો એક ટીમ સાથે થઈ. આ ટીમમાં તેમની સાથે લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર અને કૃત્રિમ બીજદાન નિરીક્ષક તેમજ સહાયકો હાજર રહે છે. ડો.કૃષ્ણકાન્ત રાઠવા જણાવે છે કે તેમણે આ રસીકરણમાં તાલુકાના ૩૨ ગામોમાં રસી આપી દીધી છે. કેન્દ્ર સરકારનો પશુઓમાં જોવા મળતો વાઈરલ રોગને નાબુદ કરવા માટે નેશનલ એનિમલ ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ ચાલે છે, આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા તેઓ રસીકરણ કરે છે. જે વર્ષમાં ૨ વખત કરવામાં આવે છે, પાલતું અને ઘરેલું પ્રાણીઓ ખાસ કરીને ગાય, ભેંસ, બળદ, ઘોડો વગેરે પશુઓને રોગથી બચવા આ રસી આપવામાં આવે છે. આ રોગ ખુબ જ ચેપી છે, એક પશુને થાય તો ગામના તમામ પશુઓને થાય છે, આમાં મોઢું, જીભ, ત્વચામાં ચાંદા પડે છે, મોમાંથી લાળ પડે છે અને પગમાં પણ કાપા પડે છે, જેને લીધે ક્યારેક પશુઓને પગમાં કીડા પણ પડે છે, મૂંગા અબોલ પશુઓને અસહ્ય પિડાનો સામનો કરવો પડે છે. જેના પ્રીકોશન ડોઝ રૂપે આ ડોઝ આપવામાં આવે છે, આ રોગને એફએમડી રોગચાળો કહે છે એટલે કે ફૂટ એન્ડ માઉથ ડીસીઝ. જેને અહી સ્થાનિક ભાષામાં ખરવા મોવાસાનો રોગ કહે છે. પશુઓ માટે આ એક શ્રાપ સમાન રોગ છે, દુધાળા પશુઓનું દૂધ ઘટી જાય છે, ઘાસચારો ખાતા નથી. પશુના માલિકને ખુબજ નુકસાન ભોગવવું પડે છે. આ રોગચાળાને જડમૂળમાંથી નાબુદ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરે છે, અને આ નાબુદીકરણના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ખભે ખભા મિલાવી આવી હજારો ટીમ કામ કરે છે. ડોકટરો કહે છે કે આ રોગ એમ તો સામાન્ય લાગે છે અને કોઈ એકાદ પશુને શરૂઆતમાં થાય છે. પંરતુ જેમ જેમ તેનો ચેપ વધતો જાય તેમ અનેક પશુઓને તેના ભરડામાં લઈલે છે. આપણે આશા રાખીએ કે સરકાર જલ્દીથી તેમનો આ ટાર્ગેટ પૂર્ણ કરે અને આપણા પશુઓને ગંભીર રોગચાળા માંથી બચાવે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


