*આપણે આપના જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવવાનું આયોજન કરવું જોઈએ-કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત
પાટણ જિલ્લામાં ૭૪મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં ૨૦.૧૫ લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગૌચર, સ્વૈછિક સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારમાં ૫૦૭.૩૨ હેકટરમાં ૪.૯૭ લાખ રોપાઓનુ વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવશે.
પાટણ જિલ્લામાં વન મહોત્સવ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ૭૪મા વન મહોત્સવ અંતર્ગત ૨૦.૧૫ લાખ રોપા પોલીથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. જે રોપાઓને ગ્રામપંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડુતો તેમજ લોકોને વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારે ચાલુ વર્ષે ઉપવન બનાવવાની યોજના પાટણ જિલ્લામાં અંદાજે ₹10.00 લાખના ખર્ચે એક પવિત્ર ઉપવન બનાવવામાં આવશે. જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સતત પ્રયાસોના લીધે આજે વનીકરણ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુન્શીથી થઈ હતી તેમને પૂરા ગુજરાતમાં આંદોલનની જેમ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વેગ આપવામાં આવ્યો હતો. તેના લીધે સમગ્ર ભારત અને ગુજરાતમાં વનવિસ્તારમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ચેરના વૃક્ષોમાં પણ વધારો થઈ રહ્યો છે. આપણે વુક્ષોનું સર્વધન કરવું જોઈએ. માણસના જન્મના સમયથી મુત્યું સુધી ૧૦૦ વૃક્ષોની જરૂર પડે છે તેથી આપણે આપના જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવવાનું આયોજન કરવું જોઈએ તેનાથી સારું ડેવલોપમેન્ટ થશે. ઓછામાં ઓછા ૧ વૃક્ષ વાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે લોકોમાં અનેરી જાગૃતિ ફેલાશે. આમ વુક્ષોની સાથે દરેકે પાણીનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ભાવિ પેઢી આપણને યાદ કરે તે માટે વૃક્ષોરૂપી એમને સંભારણા આપતા જઈએ.
આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વન મહોત્સવમાં મારો અનેરો નાતો છે. વૃક્ષોમાં ભગવાનનો વાસો હોય છે. તેમના દ્વારા આપણને રોજગારી મળે છે. વૃક્ષો વરસાદ લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો વગર આપનું જીવન સાર્થક નથી તેથી આપણે સૌએ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. તેઓ આપના સાચા અર્થમાં સાથી છે.
૭૪મા વન મહોત્સવમાં સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રોબેસરી ઑફિસરશ્રી વિધ્યાસગર, વન સંરક્ષક સામાજીક વનીકરણ વર્તુળ શ્રીમતી રાજ સંદીપ, નાયબ વન સંરક્ષકશ્રી બિંદુબેન પટેલ તથા સંગઠનના હોદ્દેદાર દશરથજી ઠાકોર, ભાવેશભાઈ, જયેશભાઈ, જશુભાઇ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


