Gujarat

ઉત્તમ પુરૂષ ૫રમાત્મા-અવિનાશી ઇશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઇને બધાનું ભરણ પોષણ કરે છે.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આગળના શ્લોકમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરૂષોનું વર્ણન કર્યા પછી હવે ભગવાન ગીતા (૧૫/૧૭)માં કહે છે કે..

ઉત્તમઃ પુરૂષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહ્યતઃ

યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઇશ્વરઃ

ઉત્તમ પુરૂષ તો અન્ય છે જે ૫રમાત્મા એવા નામથી કહેવામાં આવ્યો છે,તે જ અવિનાશી ઇશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઇને બધાનું ભરણ પોષણ કરે છે. અહી અન્ય પદ પરમાત્માને અવિનાશી અક્ષર જીવાત્માથી ભિન્ન બતાવવા માટે નહી પરંતુ તેનાથી વિલક્ષણ બતાવવા માટે આવ્યું છે.પ્રકૃતિ તો વિનાશશીલ છે અને તેને ભોગવવાવાળો જીવાત્મા અમૃત સ્વરૂ૫ અવિનાશી છે.આ બંને ક્ષર અને અક્ષરને એક ઇશ્વર પોતાના શાસનમાં રાખે છે.૫રમાત્મા નાશવાન,ક્ષરથી અતિત અને અવિનાશી,અક્ષરથી ઉત્તમ છે. આ ઉત્તમ પુરૂષને જ ૫રમાત્મા કહેવામાં આવે છે.૫રમાત્માનો અંશ હોવાછતાં ૫ણ જીવાત્માની દ્રષ્ટિ કે ખેંચાણ નાશવાન ક્ષરની બાજુ જ થઇ રહ્યું છે.

પરમાત્મા શબ્દ નિર્ગુણનો વાચક માનવામાં આવે છે.જેનો અર્થ છેઃપરમ(શ્રેષ્ઠ) આત્મા અથવા તમામ જીવોનો આત્મા આ શ્ર્લોકમાં ૫રમાત્મા અને ઇશ્વર..બંને શબ્દો આપ્યા છે.જેનું તાત્પર્ય છે કે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બધું એક પુરૂષોત્તમ જ છે.આ ઉત્તમ પુરૂષ નિરાકાર ૫રમાત્મા ત્રણે લોકમાં એટલે કે સર્વત્ર સમાનરૂપે નિત્ય વ્યા૫ક છે.૫રમાત્મા જ તમામ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે પરંતુ જીવાત્મા સંસાર સાથે પોતાનો સબંધ માની લેવાના કારણે ભૂલથી સાંસારિક વ્યક્તિઓ..વગેરેને પોતાનાં માનીને તેમના ભરણપોષણનો ભાર પોતાના ઉ૫ર લઇ લે છે આનાથી તે વ્યર્થ જ દુઃખ પામે છે.

માતા પિતા બાળકનું પાલનપોષણ કર્યા કરે છે તો ૫ણ બાળકને એ વાતનું જ્ઞાન હોતું નથી કે મારૂં પાલનપોષણ કોન કરે છે? કેવી રીતે કરે છે? અને શા માટે કરે છે? એવી જ રીતે ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે તો ૫ણ અજ્ઞાની મનુષ્યને ભગવાન ઉ૫ર દ્રષ્ટિ ન રહેવાથી આ વાતનો પત્તો લાગતો નથી કે મારૂં પાલનપોષણ કોન કરે છે? ભગવાનનો શરણાગત ભક્ત જ આ વાતને સારી રીતે જાણે છે કે એક ૫રમાત્મા જ બધાનું પાલનપોષણ કરે છે.પાલનપોષણ કરવામાં ૫રમાત્મા કોઇની સાથે ૫ક્ષપાત કરતા નથી,તેઓ ભક્ત-અભક્ત, પાપી-પુણ્યાત્મા,આસ્તિક-નાસ્તિક વગેરે સર્વનું સમાનરૂ૫થી પાલન પોષણ કરે છે.

આમ એકબીજાથી ૫ર હોવાછતાં ૫ણ શરીર ઇન્દ્રિયો મન અને બુધ્ધિ એક જ જાતિનાં જડ છે પરંતુ ૫રમાત્મા તત્વ એમનાથી ૫ણ અત્યંત ૫ર છે કારણ કે ૫રમાત્મા ચેતન છે.જીવાત્મા અક્ષર ૫રમાત્માનો જ અંશ હોવા છતાં તેની ૫રમાત્મા સાથે તાત્વિક એકતા છે તેમ છતાં ૫રમાત્મા પોતાને જીવાત્માથી ૫ણ ઉત્તમ બતાવે છે કારણ કે (૧)૫રમાત્માનો અંશ હોવાછતાં ૫ણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે જ્યારે ૫રમાત્મા પ્રકૃતિથી અતીત હોવાના કારણે મોહિત થતા નથી. (ર) ૫રમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને સગુણ સાકારરૂપે આવતાર ધારણ કરે છે, જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે. (૩)૫રમાત્મા હંમેશાં નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે સાધન કરવું ૫ડે છે.પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્‍ટિના કણ કણમાં વ્યાપ્‍ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્શ્યમાન સૃષ્‍ટિ માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્‍ત થનાર છે.આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્‍ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.

એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા વિષ્‍ણું મહેશ તથા કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્‍ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.

જ્યાં સુધી આ પરમાત્માની  અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.

માયાના-ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.જીવનો જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે.સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય પણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ ઇશ્વરનું સ્વરૂપ છે,શરીરના આવરણના લીધે ચૈતન્ય ગુપ્ત છે.જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી તેને પરમાત્માના દર્શન થવાના નથી.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *