સાસણ ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાસણ ખાતેની વન વિભાગની આયુર્વેદીક નર્સરી ખાતેથી સાસણ સિંહ સદન સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિવિધ શાળાના બાળકો, શિક્ષકો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે.
દર વર્ષેની જેમ આ વર્ષે પણ ૧૦મી ઓગસ્ટના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સાસણ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિવિધ શાળાના ૫૫૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભાલછેલ, હરીપુર, ચિત્રાવડ અને સાસણ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, વન વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત ૧૩૦૦ જેટલા લોકો જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમની સાથે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ અને વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્ઝર્વેશન એન્ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિંહ અંગેની લાયન એન્થમ લોન્ચીંગ, ધી કિંગ ઓફ ધી જંગલ ધી એશિયાટીક લાયન્સ ઓફ ધી ગીર પુસ્તકનું વિમોચન, સિંહ સૂચના વેબ એપ લોન્ચિંગ પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં સર્વોદય વિદ્યાલયના શિક્ષક ડી.બી.વઘાસિયા અને વિદ્યાર્થિની મશરૂ તુલસીબેને સિંહના જીવન વિશે રસપ્રદ માહિતી આપી હતી. જ્યારે ચિત્રાવડની આગાખાન સ્કુલના વિદ્યાર્થી પડાણી જેનીફ અને સુજાનબેને સિંહ દિવસની વિશેષતા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ માટે સૌથી એ પ્રતિજ્ઞા લીધી હતી.
આ તકે મુખ્ય વન સંરક્ષકશ્રી શ્રીમતિ આરાધના સાહુ, સાસણ ગીર નાયબ વન સંરક્ષકશ્રી ડો.મોહન રામ સહિતના વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી જીજ્ઞેશપુરી ગોસ્વામીએ કર્યું હતું.

