રાજકોટની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ ‘શ્રી ફાઉન્ડેશન’ અને ‘શેર વિથ સ્માઈલ એનજીઓ’ દ્વારા આવનાર શુક્રવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ અને અનાથ દીકરીઓનો દ્વિતીય ‘ભાગ્યલક્ષ્મી સમૂહલગ્નોત્સવ’ ભવ્યથી અતિભવ્ય યોજાવા જઈ રહ્યો છે. આયોજકો કમિટીના સુરજ ડેર, નિખિલ પોપટ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, વિક્રમ બોરીચા, કપિલ પંડ્યા, મિતુલ ગોસ્વામી, રોહિત રાજપૂત, દર્શન ભટ્ટીએ જણાવ્યુ હતુ કે, અમે બે મહિના અગાવ મીડિયાના માધ્યમ જાહેરાત કરી હતી. જે દીકરીઓ અનાથ છે, પિતા કે માતા નથી તેમજ ખુબ જ જરૂરિયાતમંદ પરિવારની હોય તેવી દીકરીઓ રજીસ્ટેશન કરી શકે છે. જેથી અમોને અંદાજે 350થી વધુ રજીસ્ટેશન મળ્યા હતા. બાદમાં અમારી કમિટીએ અનુક્રમે અનાથ દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપી, જે દીકરીને પિતા કે માતા ન હોય અને બાદ આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી હોય તે રીતે પસંદગી કરી છે. વિશેષ અમારી કમિટીએ આ 11 દીકરીઓના ઘરે રૂબરૂ વાસ્તવિકત પરિસ્થિતિની ખરાઈ કરી બાદ જ અંતિમ મહોર મારી હતી. જેથી સેવાના માધ્યમનો સાચા અને જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળી શકે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આવનાર 8 માર્ચ, શુક્રવારના મહાશિવરાત્રીના રોજ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, ન્યુ રેસકોર્ષ સામેના ગોકુલ પાર્ટી પ્લોટમાં આયોજીત થનાર આ અવસરમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. કરૂણતા અને સંઘર્ષમય જીવનની ઘટમાળમા ઘડાયેલી આ દીકરીઓને આ સમૂહલગ્નોત્સવમા ગૃહઉપયોગી ચીજવસ્તુઓનો પર્યામ કરીવારરૂપે 150થી વધુ વસ્તુઓ અલગ અલગ દાતાઓ દ્વારા આપવામાં આવનાર છે. લગ્નના સાત ફેરા સાથે વર્તમાન સમયને અનુરૂપ એવા સાત સંકલ્પો પણ લેવડાવવામાં આવશે. જેમાં વ્યાજ, દહેજ અને કુ-રિવાજોને તિલાંજલી, જળ-જમીન અને જંગલ જેવી પર્યાવરણિય રાષ્ટ્રીય સંપદાનું જતન, રક્તદાન, મૃત્યુ પશ્ચાત દેહદાન અને નેત્રદાન, સ્ત્રી ભૃણ હત્યા નહીં કરવાની પ્રતિજ્ઞા, મતદાનમાં જાગૃતિ દાખવી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકી ફર્ઝ બજાવવી, વ્યસન મુક્ત જીવન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને સાર્થક કરવો જેવા સંકલ્પો લેવડાવામાં આવશે. સાથો સાથ પાર્ટીપ્લોટ ખાતે થેલેસીમિયા પીડીત બાળકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમુહલગ્નનો લાભ ભલે જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓ લેવાની હોય પરંતુ, ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજિત આ લગ્નમા એ-ગ્રેડનો લાઇટિંગવાળો લગ્ન મંડપ, ભવ્ય ડેકોરેશન, લાઇવ ઓકેસ્ટ્રા, ફાયર વર્કસ, સેલ્ફી ઝોન,વિવિધ વાનગીઓ ધરાવતી ડીશ જેવી બાબતોનું વિશેષ ધ્યાન આપ્યું છે. જેથી તમામ આકર્ષણો થકી લગ્નોત્સવની લાભાર્થી દિકરી અને તેમના પરિજનોને લઘુતાગ્રંથીનો અનુભવ જ ના થઇ શકે. આયજકોએ જણાવ્યું હતું કે, એવું જાજરમાન આયોજન કરીયે કે જે દરેક માવતર માટે સ્વપ્ન સમાન ઘરનો પ્રસંગ હોય અને લાખેણો કરીવારમાં સોનાના દાણા, સોનાની ચુક, ચાંદીના સાંકડા, ચાંદીના તુલસીના ક્યારા, ચાંદીનો સેટ અને ગાય, ઘરઘંટી, વોશિંગ મશીન સહીત અન્ય ઘરવખરીની 150 જેટલી વસ્તુઓ અપાનાર છે.
આ સમૂહલગ્નની વિશેષતા એ છે કે, લગ્ન થીમ બેઝ થવાના છે અને સર્વપ્રથમવાર લગ્નમાં 15 ભૂદેવો દ્વારા તમામ વિધિઓ સંસ્કૃતના શ્લોકો અને ગાન દ્વારા કરવામાં આવશે. વરરાજા કે કન્યાને કોઈ વસ્તુ લાવવાની રહેતી નથી. પૂજાપાથી લઇને પાનેતર તથા બ્યુટીપાર્લરની સુવિધા પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. મહાશિવરાત્રીના પાવન દિવસે શિવજીના વરઘોડા સાથે 11 વરરાજાના વરઘોડાના સામૈયા કરવામાં આવશે. શિવજીની જાનમાં બ્રહ્મા, વિષ્ણુથી લઇને ભુતડાઓ સહિતના પાત્રો જાનમાં જોડાશે તથા શિવજી પાર્વતીજી માટે કૈલાસ પર્વત જેવી થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ લગ્નોત્સવ ગૌધુલિક સમયે એટલે કે, સાંજના સમયે હસ્તમેળાપ કરવામાં આવશે. લગ્નની આગળની રૂપરેખા જોઈએ તો, બપોરે 3 કલાકે જાન આગમન સાંજે 6:30 કલાકે હસ્તમેળાપ સાંજે 7:30 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 8:30 કલાકે કન્યા વિદાય થશે.
નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિશ્વવિખ્યાત ‘ખજૂરભાઈ એન્ડ ટીમ’ તેમજ રાજકીય આગેવાનોમાં અનેક સાંસદો અને ધારાસભ્યયો, સમાજ શ્રેષ્ઠિઓ અને સંતો મહંતો વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેમજ આ નવદંપતિને આશીર્વાદ આપવા આયોજક કમિટી દ્વારા તમામ રાજકોટની જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બંને સંસ્થાઓમાં તમામ 100થી વધુ આયોજકોની ટીમ અને દાતાઓ બધા યુવાનો જ છે કે, જેઓની ઉંમર 25 થી 40ની વચ્ચે છે. ખરેખર આજના સમયમાં સમાજને દિશાચિહ્ન બાબત ગણી શકાય તેવું સેવાયજ્ઞનું બીડુ આ નવયુવાનોએ ઝડપીને સેવાના ભાવાર્થ સાથે પુણ્ય કમાવવાનું કાર્ય કરી રહ્યા છે. તે ખુબ સરાહનીય બાબત અને નવયુવાનિયાવને અભિનંદનને પાત્ર છે.

