Gujarat

ઈડી દ્વારા ધરપકડ બાદ ઝારખંડના મંત્રી આલમગીર આલમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ

ઝારખંડ કોંગ્રેસ નેતાનું મંત્રી પદ પરનું રાજીનામું રાજભવનમાં સોંપાયું

કોંગ્રેસના નેતા અને ઝારખંડના મંત્રી આલમગીર આલમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવનને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આલમગીર આલમ પાકુર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈ સોરેને નેતૃત્વ સંભાળ્યા બાદ આલમગીરને ફરી મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આલમગીર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં ઈડીએ ૧૫ મેના રોજ તેમની ધરપકડ કરી હતી.

તેઓ છ દિવસના ઈડીના રિમાન્ડમાં છે. આલમગીરના વકીલે દાવો કર્યો છે કે તેમની સામે કોઈ ચોક્કસ આરોપ નથી. આ કેસમાં તેમની કોઈજ સીધી સંડોવણી નથી. વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ઈડી તે વ્યક્તિનું નામ જાહેર કરી રહ્યું નથી જેણે પૈસા લીધા હતા અથવા જેણે ગુનો કર્યો હતો. જહાંગીર નામના વ્યક્તિ સાથે આલમગીરનો કોઈ સંબંધ નથી જેના ઘરેથી રોકડ મળી આવી છે. જ્યારે ઈડીએ રિમાન્ડની માંગણી કરી ત્યારે આલમગીરના વકીલે તબિયતને ટાંકીને તેનો વિરોધ કર્યો હતો.

ઈડી એ આલમગીર આલમની સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી તેના એક દિવસ પહેલા નવ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. આ પૂછપરછ તેની ઓફિસમાં થઈ હતી જે બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી. આલમગીર ઈડીના રડાર પર ત્યારે આવ્યો જ્યારે તેના અંગત સચિવ સંજીવ કુમાર લાલની ધરપકડ કરવામાં આવી. આ સિવાય ઈડ્ઢએ સંજીવ કુમારના નોકર જહાંગરી આલમની પણ ધરપકડ કરી હતી. ૬ મેના રોજ ઈડીએ તેમના એક ફ્‌લેટ પર દરોડા પાડ્‌યા હતા જેમાં ૩૨ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા.

૬ મેના રોજ, ઈડીએ આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના વર્કર જહાંગીર આલમના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્‌યા હતા અને ૩૭ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. દરોડા બાદ આલમ અને સંજીવ લાલ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ રાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્‌યા હતા, જે દરમિયાન આ રોકડ મળી આવી હતી. રોકડ ગણવા માટે ઘણા મશીનો પણ લાવવામાં આવ્યા હતા, જે બધી ૫૦૦ રૂપિયાની નોટો હતી. આ સિવાય એજન્સીના અધિકારીઓએ જહાંગીર આલમના ફ્‌લેટમાંથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા.