બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલું જેસોર અભયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું મોટામાં મોટું અભયારણ્ય છે. આ અભયારણ્ય ચોમાસામાં પ્રકૃતિની સોળે ખીલેલું રહે છે. જોકે, ઉનાળામાં આ અભ્યારણની સ્થિતિ કંઇક અલગ જ હોય છે. સુકાભઠ્ઠ વિસ્તારના આ અભ્યારણમાં મોટાભાગે રીંછ સહિત દીપડા, જંગલી બિલાડી અને ઘોરખોદીયા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.
જે પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસી જવાના કારણે માનવ પર હુમલાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. જોકે, હવે આવા બનાવો ભાગ્યે જ સામે આવે છે કારણે કે વન વિભાગ દ્વારા આ અભ્યારમણાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાયા છે. અંદાજીત 20 જેટલા પાણીના પોઇન્ટમાં પનવચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડાય છે. જેને લીધા હવે ગામડાઓમાં વન્ય પ્રાણીઓ ભાગ્યે જ ઘૂસે છે.
પ્રાણીઓ માટે પાણીની અલાયદી વ્યવસ્થા
બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા જેસોર વન્ય જીવ અભ્યારણમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તો પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ તેમને થતી હોય છે, પરંતુ ઉનાળામાં પાણી માટે કેટલીક વાર રીંછ જંગલની નજીક આવેલા ગામડાઓમાં જોવા મળતા હોય છે, ખોરાક પાણીની શોધમાં જંગલી જાનવરો લોકો પર હુમલાના બનાવો પણ સામે આવતા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવી ચૂક્યા છે.
જોકે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાંથી બહાર ન જાય અને જંગલમાં ને જંગલમાં પાણી અને ખોરાક મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરી પાણીની વ્યવ્યસ્થા ઉભી કરાઇ છે.