જમ્મુ-કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું છે. રાજ્ય પ્રશાસને એક પરિપત્ર જારી કરીને આદેશ આપ્યો છે કે તમામ શાળાઓમાં સવારની એસેમ્બલી રાષ્ટ્રગીત સાથે શરૂ થશે. શાળાઓમાં રાષ્ટ્રગીત ગૂંજશે તેવું પહેલીવાર જોવા મળશે. સરકારનું માનવું છે કે આનાથી બાળકોમાં રાષ્ટ્રીય ભાવના પેદા થશે અને અલગતાવાદી ભાવનાઓ દૂર થશે.
કાશ્મીર ખીણમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રગીત વિવાદનો વિષય હતો, કારણ કે અલગતાવાદીઓ તેનો બહિષ્કાર કરે છે. કોલેજોમાં સ્થાનિક યુવાનો રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા રહેવાની ના પાડતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. કલમ 370 હટાવ્યા બાદ બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
તંત્રે બીજું શું ફરજિયાત કર્યું?
- દરેક શાળાઓમાં એસેમ્બલી 20 મિનિટની હશે. રાષ્ટ્રગીત ફરજિયાત.
- પછી ત્રણ કે ચાર બાળકો, શિક્ષક રોજ સંબોધન આપશે.
- તેઓ બાળકોને મહાપુરુષો, સ્વતંત્રતા સેનાનીઓનાં જીવનચરિત્રો અને પ્રેરણાત્મક કાર્યો જણાવશે.
- દર અઠવાડિયે કે મહિનાના એક વિષય પર ચર્ચા થશે.
- ચરિત્ર, શિક્ષણ, તનાવ અને સ્વાસ્થ્યને લગતી બાબતો અંગે સૂચનો આપશે.

