Gujarat

નીટ-યુજી પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

શિક્ષણ મંત્રાલય દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે કે, નીટ-યુજી પેપર લીક કેસની તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી, જો કે રવિવારેના રોજ યોજાનારી નીટ-પીજી પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ ૫ મે, ૨૦૨૪ ના રોજ ઓએમઆર (પેન અને પેપર) મોડમાં નીટ-યુજી પરીક્ષાનું આયોજન કર્યું હતું. પરંતુ આ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવી હતી. પરીક્ષા પ્રક્રિયાના આચરણમાં પારદશિર્તા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા કર્યા બાદ આ બાબતને વ્યાપક તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવાનો ર્નિણય કર્યો હતો.

કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે જાહેર પરીક્ષાઓ અધિનિયમ, ૨૦૨૪ પણ ઘડ્‌યો છે. સરકાર કહે છે કે તે પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. સંદેશ સ્પષ્ટ છે કે પેપર લીક કેસમાં સામેલ કોઈપણ વ્યક્તિ-સંસ્થાને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે નીટ-યુજી પરીક્ષા ૫ મેના રોજ દેશભરના ૪,૭૫૦ કેન્દ્રો પર લેવામાં આવી હતી અને લગભગ ૨૪ લાખ ઉમેદવારોએ તેમાં ભાગ લીધો હતો. પરીક્ષાનું પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું, પરિણામ ૧૦ દિવસ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું.

પરીક્ષાના પરિણામો પછી પેપર લીક અને અનિયમિતતાના આક્ષેપો ઉભા થયા હતા, કારણ કે ૬૭ થી વધુ વિદ્યાર્થીઓએ મહત્તમ ગુણ મેળવ્યા હતા, જેમાંથી કેટલાક એક જ પરીક્ષા કેન્દ્રના હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બિહારમાં ગેરરીતિ અને પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. આ સાથે કેટલાક ઉમેદવારોએ પરીક્ષાના એક દિવસ પહેલા પેપર મળ્યા હોવાનો દાવો કરીને જાહેરમાં સામે આવ્યા છે.