ગિરગઢડા
ભરત ગંગદેવ..
આગામી વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે ચાલુ વર્ષે દરેક સમાજો પોતપોતાના સમાજને એકત્રિત કરી સમાજને વધુ સંગઠન અને મજબૂત કરવા લાગી ચુક્યા છે.ત્યારે ભૂદેવો પણ પોતાના સમાજને મજબૂત અને સંગઠિત કરવા ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરમાં 25 વર્ષ બાદ આજે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું હતું.જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભૂદેવો સહિત સંતો મહંતો હાજર રહ્યા હતા.જેમાં બ્રહ્મ સમાજને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય અને સમાજની રાજકીય રીતે નોંધ લેવાય તેમને લઈ અનેક ચર્ચાઓ કરવા આવી હતી.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભુદેવોએ જણાવ્યું હતું કે, “2022 માં ગુજરાતનાં મુખ્યમંત્રી કોઈપણ હોઈ ભુદેવનું માર્ગદર્શન આવશ્યક જ રહેશે.
કોડીનાર ખાતે યોજાયેલા આ બ્રહ્મમિલન માં ગીર સોમનાથ જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ નાં અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકા બ્રહ્મસમાજનાં પરિવારજનો થઈને 1100 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.જય પરશુરામ અને જય મહાદેવ,જય સોમનાથના નારાથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.તો અહીં બ્રહ્મ એકતા અને સંગઠનના દર્શન થયા હતા.દરેક વકતાઓએ પોતાના વક્તવ્યમાં બ્રહ્મસમાજ ને સંગઠિત થવા હાકલ કરી હતી.’વર્તમાન યુગમાં જો તમે એકતાના દર્શન કરાવશો તો જ તમારી ગણના થશે.’ તેવું સૌ ભુદેવોએ સમજ્યું હતું.’સંઘ શક્તિ કલૌ યુગે’ ઉક્તિ અહીં સાર્થક થતી જોવા મળી હતી.


