Gujarat

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪

પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા

*એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ*

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહી એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. આ કેમ્પનું સરનામું એટલે “પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ” વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.

આવો જ એક સેવા કેમ્પ “પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ”. જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ સેવા કેમ્પમાં રોજ ૫૦૦ થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં ૨૪ કલાક હાજર ડોકટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ સાડા આઠ વિઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દર રોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.

સેવા કેમ્પ “પી.એન. માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પી.એન. માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે. ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડેપગે સેવા આપતાં પોલીસ વિભાગના 6500 જેટલાં સ્ટાફને દરરોજ ભોજનમાં મિસ્ટાનની વ્યવસ્થા કરી હતી. જલોતરા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થા રૂપી અવસરમાં સેવાયજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે.

IMG-20240913-WA0109-3.jpg IMG-20240913-WA0108-2.jpg IMG-20240913-WA0106-0.jpg IMG-20240913-WA0107-1.jpg