મહારાષ્ટ્ર કેબિનેટે આજે સ્વર્ગસ્થ રતન ટાટાને ભારત રત્ન આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. મહારાષ્ટ્રની શિંદે સરકારની બેઠકમાં પહેલા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી કેબિનેટની બેઠકમાં રતન ટાટાને ભારત રત્ન આપવા માટેની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ, કેન્દ્ર સરકારને મોકલશે.
આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જાેઈએ. આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે. મહારાષ્ટ્ર સરકારે, સ્વર્ગસ્થ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુરુવાર ૧૦ ઓક્ટોબરના રોજ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ ૧૦ ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી કાઠીએ પર લહેરાશે. રતન ટાટાના નશ્વર દેહને મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવ્યો છે. જ્યા તેમના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી છે.
મોટી સંખ્યામાં લોકો રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના નિધન પર દેશ અને દુનિયાના અનેક દિગ્ગજાેએ શોક વ્યક્ત કરવાની સાથેસાથે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાંજે ૪ વાગ્યે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું.
તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. રતન ટાટાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

