સોમનાથમાં શંખ સર્કલ નજીક કરાયેલા ડીમોલેશનનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 6 અસરગ્રસ્તોએ કોર્ટમાં અરજી કરી છે. તેમના આક્ષેપ મુજબ, આધાર-પુરાવા હોવા છતાં તંત્રએ કોઈ નોટીસ આપ્યા વગર એકતરફી ડીમોલેશન કર્યું હતું.

4 એપ્રિલ 2025ના રોજ સોમનાથ શંખ સર્કલ નજીક 80 જેટલા રહેણાંક મકાનો સહિતના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. સ્થાનિક લોકોની મદદે આવેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરુદ્ધ તંત્રએ ફરજ રૂકાવટનો ગુન્હો નોંધ્યો હતો.

7 મેના રોજ આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કલેક્ટર, ડી.વાય.એસ.પી. સહિત 14 અધિકારીઓને નોટિસ ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે નોટિસ વગર ડીમોલેશન કરવું સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું ઉલ્લંઘન છે. તમામ અધિકારીઓએ સોગંદનામા સાથે જવાબ રજૂ કરવાનો રહેશે.
ગુજરાત હાઈકોર્ટે જે 14 અધિકારીઓ કર્મચારીઓને નોટિસ ફટકારી તેની યાદી.
- રાજ્ય સરકાર (STATE OF GUJARAT To, —- Respondent (s))
- તત્કાલિન જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા
- વી.પી.જોશી – ડે. કલેકટર, વેરાવળ.
- શામળાભાઈ, મામલતદાર, વેરાવળ
- અનિલકુમાર ભગત, નાયબ મામલતદાર, વેરાવળ
- વી.આર.ખેંગાર, DYSP , વેરાવળ.
- અરવિંદસિંહ બી. જાડેજા, LCB પી.આઈ, ગીર સોમનાથ
- આકાશ સિંધવ , LCB પી.એસ.આઈ, ગીર સોમનાથ
- અજીતસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ
- નરવનસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ.
- એમ.વી.પટેલ, પોલીસ ઇન્સ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન.
- પિયુષ બારડ, પોલીસ કોન્સ્ટેબલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન.
- કુલદીપસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન.
- હિરેન ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન.

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગામ નમૂના નંબર 2માં નોંધ હોવા છતાં ગેરકાયદે ડીમોલેશન કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ વધુ પીડિતો હાઈકોર્ટમાં અરજી કરશે. આ કેસની વધુ સુનાવણી 18 જૂનના રોજ થશે.

