જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ બે આયુષ્માન આરોગ્ય મંદિરોને તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (National Quality Assurance Standards – NQAS) નું પ્રમાણપત્ર ભારત સરકાર દ્રારા એનાયત કરાયું છે.
લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પડાણા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડ અને આયુષ્માન આરોગ્ય મંદિર રંગપરને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી બાદ આ સન્માન પ્રાપ્ત થયું છે.
આ ચકાસણીમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ, કિશોર આરોગ્ય સંભાળ, રોગ નિદાન અને સારવાર, ઈમરજન્સી સેવાઓ, માનસિક આરોગ્ય, આયુષ અને યોગ, અને શાળા આરોગ્ય કાર્યક્રમો જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન દરમિયાન દર્દી-કેન્દ્રિત સેવાઓ, સ્ટાફની કામગીરી અને જરૂરી માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.
આ સઘન પ્રક્રિયાના અંતે, આયુષ્માન આરોગ્ય મંદિર રંગપરને 91 ટકા અને આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડને 90 ટકા ગુણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું છે, જે જામનગર જિલ્લાની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓની પ્રતીતિ કરાવે છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુપ્તા, અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના મેડિકલ ઓફિસર ડો. માનસી પટેલ અને આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડ અને રંગપરની સમગ્ર આરોગ્ય ટીમને કામગીરીને વખાણી હતી.