જામનગર નજીક વસઈ ગામમાં યુ.કે. સ્થિત એક એનઆરઆઈની આશરે 10 વીઘા ખેતીની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો પ્રયાસ થયો છે. આ મામલે જામનગર અને મુંબઈના ચાર શખ્સો સામે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ જામનગરના જયંત સોસાયટી વિસ્તારના વતની અને હાલ યુ.કે.માં વ્યવસાય કરતા અમિતભાઈ દામજીભાઈ શાહની આ જમીન છે. તેમણે વર્ષ 2000માં આ જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા હતા અને સમયાંતરે ભારત આવીને તેનું નિરીક્ષણ કરતા હતા.વર્ષ 2024 સુધી તેમની જમીન યથાવત હતી. જોકે, તાજેતરમાં તેમને જાણ થઈ કે તેમની જમીનના દસ્તાવેજો વેચાણ અર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે.
જામનગર આવીને ખરાઈ કરતા તેમને જાણ થઈ કે તેમની જમીન અન્યના નામે વેચાઈ ગઈ છે અને તેને ફરીથી મોટી રકમમાં વેચવાનું કાવતરું ચાલી રહ્યું છે.આથી અમિતભાઈએ તાત્કાલિક જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે જમીન જામનગરના ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરીના નામે ટ્રાન્સફર થઈ ગઈ હતી. મુંબઈના અમિતભાઈ દામજીભાઈ શાહ નામના શખ્સે ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો, જેમાં જામનગરના નવીનભાઈ રામજીભાઈ ગોરી અને મુંબઈના યોગેશ કેશવજીભાઈ શાહએ સાક્ષી તરીકે સહી કરી હતી.
આ બનાવટી દસ્તાવેજો 11 ફેબ્રુઆરી, 2025ના રોજ બનાવવામાં આવ્યા હતા અને જામનગરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી પણ કરાવવામાં આવી હતી.