Gujarat

રાંધેજા પાસે રિક્ષા પલટી જતાં યુવતીનું મોત

ગાંધીનગરના રાંધેજા પાસે રિક્ષા ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગઈકાલે(21 ડિસેમ્બર) રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી જતાં 22 વર્ષીય આરતી નામની યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષામાં માતાજીના દર્શને ગયા હતા કલોલ તાલુકાના કલ્યાણપુર,સોમનાથ સોસાયટી-1 ખાતે રહેતા આશારામ ઘનપત પટવા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના છ સંતાનો પૈકી એક 22 વર્ષીય દીકરી આરતી હતી.

ગઈકાલે રવિવારે તેમની પત્ની ઉષાબેન, દીકરી આરતી તેમજ કલોલના ઇમ્તિયાજ અંસારી, જાસ્મિન અન્સારી ,અંજલીબેન ત્રિવેદી તથા અવતાડે પદમોબન મધુકર રિક્ષા નંબર (GJ-18-BU-7741) માં રાંધેજા ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા.

રિક્ષા પલટી જતા મુસાફરો ઈજાગ્રસ્ત જ્યાં દર્શન કરી મોડી સાંજે પરત ફરતી વખતે રાંધેજા ફાટકથી રૂપાલ તરફ જતા રોડ પર રિક્ષા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા હંકારી રોડ સાઈડના પિલ્લર સાથે અથડાવી દીધી હતી. જેના લીધે રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં સવાર તમામ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.