એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ, નાગરિકોની આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ?૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ‘રેનબસેરા‘ તૈયાર કરવામાં આવ્યું છે.
રેનબસેરાની મુખ્ય વિશેષતાઓમાં વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૮ માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ૨૪,૪૩૬ ચો.મી. છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮૦ લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ૦૮ દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, પૂરતા શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા બેઝમેન્ટમાં ૫૮ ફોર-વ્હીલર અને ૯૧ ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધાની સુવિધા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે ૧ લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળશે. તેનાથી હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીઓમાં થતી ભીડ ઘટશે, જેના પરિણામે હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા રહેશે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ‘રેનબસેરા‘ સેવા અને માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.

