Gujarat

ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ ત્રાટકી

ચિલોડા પાસે બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે પેડલર ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ડભોડાનો મીત પ્રજાપતિ મુખ્ય સૂત્રધાર

ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (છદ્ગ્હ્લ) એ પૂર્વ બાતમીના આધારે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર-સુરત રૂટની એસ.ટી. બસમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે પેડલરોને રૂ .૫.૯૭ લાખની કિંમતના ૧૧ કિલો ૯૪૦ ગ્રામ ગાંજા સાથે દબોચી લીધા છે. જેમાં મુખ્ય સૂત્રધાર ડભોડાનો મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હિંમતનગરથી સુરત જતી બસમાં જતા હોવાની બાતમી મળી

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ઝાલા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગરથી સુરત જતી બસમાં બે ઇસમો નશાકારક જથ્થા સાથે મુસાફરી કરી રહ્યા છે અને તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરના સમયે એસ.ટી. બસ ત્યાં આવી પહોંચતા બાતમી મુજબના બે શખ્સો થેલા સાથે નીચે ઉતર્યા હતા, જેમને પોલીસે તુરંત કોર્ડન કરી લીધા હતા.

પ્લાસ્ટિકની ૧૨ કોથળીઓમાં ભરેલો ગાંજાે મળી આવ્યો

આ અંગે પોલીસે જણાવ્યું કે,પકડાયેલા શખ્સોની ઓળખ વિરાજ પરેશકુમાર સોલંકી (રહે. મોટી ભાગોર,ડભોડા, ગાંધીનગર) અને આદિત્ય મથુરભાઇ બારૈયા (રહે. અમદાવાદ, મૂળ પંચમહાલ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેના થેલાઓમાંથી કુલ ૧૨ પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો ગાંજાે મળી આવ્યો હતો. જેની એફએસએલ અધિકારી એ પણ પુષ્ટિ કરી છે. જેનું કુલ વજન ૧૧.૯૪૦ કિલોગ્રામ અને કિંમત અંદાજે ૫,૯૭,૦૦૦ રૂપિયા છે.

બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ જથ્થો હડાદ ગામ પાસે રહેતા નાગજીભાઇ ગલબાભાઇ બુબડીયા પાસેથી લાવ્યા હતા. આ માટે તેમણે નાગજીભાઇને રોકડા અને પેટીએમ દ્વારા કુલ ૧.૩૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જથ્થો ડભોડાના ડેલુ વાસમાં રહેતા મિત પ્રજાપતિ નામના શખ્સને પહોંચાડવાનો હતો. બંને આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને બસની ટિકિટો મળી કુલ ૬,૦૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિલોડા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાગજીભાઇ અને મિત પ્રજાપતિને પકડવા ચક્રો ગતિમાન કરી આ નેટવર્કમાં જાેડાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.