સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેર/ તાલુકાની હેલ્થ કચેરીઓ દ્વારા કોરોના રસીકરણમાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે, સાવરકુંડલાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય લોકોએ જેમણે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધેલો છે અને બીજા ડોઝની સમયમર્યાદા પૂરી થઈ હોય તો તેમના નામે રસીના બીજા ડોઝની ખોટી એન્ટ્રી કરી નાખવામાં આવે છે, જયારે કે જે તે વ્યકિતએ રસીનો બીજો ડોઝ લીધેલો જ ન હોય. આવા ખોટા રસીકરણના આંકડા દર્શાવી ઉપરી અધિકારીઓને અને સરકારમાં સારી કામગીરી દેખાડવા લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેર/તાલુકાની હેલ્થ કચેરીઓ દ્વારા આવા એક-બે નહીં પણ અસંખ્ય લોકોના કોરોના રસીના બીજા ડોઝની ખોટી એન્ટ્રી કરી નાખવામાં આવી છે.
અત્રેની આ હેલ્થ કચેરીઓના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને તેમના આ જઘન્ય કૃત્યમાં તેમના જીલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓનો સહકાર મળી રહ્યો છે કેમકે તેમના આવા કૃત્યોથી તેમની રસીકરણ અંગેની કામગીરી ઓન-પેપર સારી દેખાય છે.
દેશના જાગૃત અને સંવેદનશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, તે અનુસંધાને ગુજરાત રાજ્યના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા આ કોરોના રસીકરણનુ કામ ખુબ સુંદર રીતે થઇ રહ્યુ છે, પરંતુ સાવરકુંડલામા આવા બેજવાબદાર તંત્ર દ્વારા બોગસ રસીકરણ દર્શાવી દ્રોહ કરવામાં આવી રહ્યો છે. અમરેલી જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, સાવરકુંડલા શહેર/તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર આ પ્રકારની ગંભીર બેદરકારી કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય આ કચેરીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ વીજીલન્સ તપાસ કરીને શિક્ષાત્મક પગલાં લેવા સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારમાં ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામા આવી છે.


