ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્યના દરેક નાગરિકો નિરોગી, તંદુરસ્ત અને સુખમય જીવન જીવે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સુરત ખાતેથી ફીટ ઇન્ડીયા, ફીટ ગુજરાત સાયક્લોથોનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં સાયક્લોથોન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ હતી. જેમા ૨૫૦૦ થી વધુ લોકો સહભાગી થયા હતા.
જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના હસ્તે આ સાયકલ રેલીને ફ્લેગઓફ કરાવવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાસ જાટ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, યુવા વિકાસ અધિકારી મકવાણા સહિત પણ રેલીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો, સાયકલ ચલાવો, સાયકલનું ચક્ર આરોગ્ય જાળવીને જીવન ચક્રને ગતિશીલ રાખવા મદદરૂપ બને છે. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગે રાજ્યમાં ૨૭૦૦ થી વધુ સ્થળોએ બીન ચેપી રોગોથી બચવાની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું છે.


