જામનગરમાં બાળકોની બોલાચાલી બાદ થયેલી ધક્કામુક્કીમાં એક 64 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. આ બનાવને પોલીસે હત્યામાં પલટાવી ગુનો નોંધ્યો છે. મૃતક ઈબ્રાહીમભાઈ ચાકીને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના જામનગરના સેન્ટ્રલ બેન્ક પાસે આવેલા શેતાવાડ, જીવાશેતાના ડેલામાં બની હતી. ઈબ્રાહીમભાઈ સિદ્દીકભાઈ ચાકી (ઉં.વ.64) ઘાણીનો ધંધો કરતા હતા. તેમની પડોશી સાથે બાળકોને લઈને બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા ધક્કામુક્કીમાં પરિણમી હતી.

ધક્કામુક્કી દરમિયાન ઈબ્રાહીમભાઈ નીચે પટકાયા હતા અને તેમનું માથું જમીન સાથે ભટકાતા ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવાની તજવીજ કરાઈ હતી, પરંતુ ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આ બનાવને હત્યાનો ગુનો ગણી આગળની તપાસ શરૂ કરી છે. પડોશી સાથે કયા મુદ્દે બોલાચાલી થઈ હતી, ધક્કામુક્કી કેવી રીતે થઈ અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

