અમદાવાદ
અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં શિક્ષણના વ્યવસાયમાં આવવા માટે ટિચીંગ લાયસન્સ જે ટાટ જેવી પરીક્ષા હોય છે, તે સમગ્ર જીવનકાળમાં ફક્ત એક જ વખત મેળવવાનું રહે છે. ભારત સરકારની નવી શિક્ષણનિતી અનુસાર ૨૦૨૦માં પણ ટાટ પરીક્ષાનો ઉલ્લેખ છે. ટાટ પાસ થનારા ઉમેદવારો માટે ટાટ પ્રમાણપત્ર સંદર્ભે પાંચ વર્ષની સમયમર્યાદા આપવામાં આવી છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૧ના પરિપત્રમાં ટાટ પ્રમાણપત્રની મુદત ફક્ત ૫ વર્ષ માટે રાખવામાં આવી છે. ટાટનું પરિણામ જાહેર થાય તે તારીખથી ૫ વર્ષ માટે પ્રમાણપત્ર માન્ય રહે છે. જાે, ૫ વર્ષ દરમિયાન ઉમેદવારને ભરતીમાં તક ન મળે તો તેમને ફરીથી પરીક્ષા આપવી પડે છે અને ત્યારબાદ તેમને ભરતીમાં તક મળતી હોય છે.રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કે આચાર્યની નોકરી માટે કોઈ પણ વયમર્યાદા નથી. આ તમામ બાબતોને ધ્યાને લઈને ટાટની પરીક્ષા ક્વોલિફાઈડ થનારા એટલે કે ટાટ પરીક્ષાના ૫૦ ટકા કે વધુ મેળવનારા ઉમેદવારો માટે પ્રમાણપત્રની સમયમર્યાદા દુર કરીને કાયમી ગણવાની જરૂરીયાત છે.રાજ્યના શિક્ષણ વિભાગના જાહેરનામામાં ટાટ, ટેટ અને એચએમએટી તમામ પરીક્ષાની અવધી ૫ વર્ષની છે તે રદ કરીને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની તાજેતરની જાહેરાતની જેમ આજીવન કરવાના હુકમો કરવામાં આવે. જાે આ ર્નિણય લેવામાં આવે તો હજારો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવામાંથી મુક્તિ મળી શકે છે.ગુજરાતમાં શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી વિવિધ પરીક્ષા પાસ થયાની સમયમર્યાદા પાંચ વર્ષ રાખવામાં આવેલી છે પરંતુ કેન્દ્રની નવી શિક્ષણનિતી અંતર્ગત આ પ્રમાણપત્રની સમયમર્યાદા આજીવન કરવામાં આવેલી છે જેથી શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં શિક્ષક બનવા માટેની વિવિધ ટેટ, ટાટ તથા એચએમએટી પરીક્ષાના પરિણામની પ્રમાણપત્રની મર્યાદા આજીવન કરવામાં આવે તેવી માંગણી કરી છે.