સુરેન્દ્રનગર
દેશનું ૭૦% મીઠું ગુજરાતમાં પાકે છે અને એમાંથી ૩૫% મીઠું તો ઝાલાવાડ પંથકના વેરાન રણમાં પાકે છે. ત્યારે લોકોના ભોજનને “કાળી મજૂરી થકી સફેદ મીઠું” પકવી સ્વાદિષ્ટ બનાવતા છેવાડાના માનવી ગણાતા એવા અગરિયાઓ આજેય રણમાં રસ્તા, પાણી, વિજળી અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજેય ૧૮મી સદીમાં જીવતા હોય એવો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ પ્રકાશ ખેંગારભાઇ ડોડીયાએ અગરિયા હિત રક્ષક મંચના જિલ્લા કો.ઓર્ડિનેટર ભરતભાઇ સોમેરાને સાથે રાખી ઝીંઝુવાડા રણમાં ૪૫ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ઝુંપડે-ઝુંપડે ફરી મીઠું પકવતા અગરિયાના પાયાગત પ્રશ્નોની વેદના સાંભળી હતી. દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ પ્રકાશ ખેંગારભાઇ ડોડીયાએ પોતાનો જન્મદિવસ કેક કાપીને કે પાર્ટી કર્યા વગર વહેલી સવારેથી સેવાકીય કાર્યો થકી ઉજવીને અન્ય લોકોને અનોખો રાહ ચિંધ્યો છે. જેમાં એમણે સવારે ૭૦ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું, ૫ સો ચોરસ વાર ઘરથાળના પ્લોટ, ૫ વિધવા સહાયના ફોર્મ અને ૨ વૃધ્ધ પેન્શનના ફોર્મ ભરાવ્યા હતા. અને બપોર બાદ રણ વિસ્તારની મુલાકાત લઇ મીઠું પકવતા અગરિયાઓને આરોગ્ય, શિક્ષણ અને પીવાના પાણીની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી. અને પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ અને સર્વ શિક્ષા અભિયાનના સંબંધિત અધિકારીઓ સાથે મીઠું પકવતા અગરિયાઓના પ્રાણ પ્રશ્ને વિગતવાર ચર્ચા કરી ઉકેલ લાવવાનો અનુરોધ કર્યો હતો. મારા પિતા ખેંગારભાઇ ડોડીયા પણ અગાઉ દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે અને હાલમાં હું દસાડા તાલુકા પંચાયતનો પ્રમુખ છુ. પરંતુ પિતા પાસેથી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રેરણા લઇ મેં મારો જન્મદિવસ સાદાઇથી ઉજવવાની સાથે લોકપયોગી કાર્યો અને રણમાં ઉપર આભ અને નીચે ધરતી તળે મીઠું પકવતા અગરિયાઓના પ્રાણ પ્રશ્નો જાણી એમના જીવનમાં એક ડોકીયું કરવાનો સુક્ષ્મ પ્રયાસ કર્યો છે.


