ભુજ
દુધઈ સબ નર્મદા પેટા કેનાલનું જે ૬૮ કિલોમીટર રુદ્રમાતા સુધીનું કામ પૂર્ણ કરવાનું હતું. તેના બદલે વિભાગ દ્વારા ૨૩ કિલોમીટર સુધીજ કરવામાં આવ્યું છે. બાકીનું ૪૫ કિલોમીટર સુધીમાં પાઇપ લાઇન પાથરીને પાણી પહોંચાડવા જાહેરાત કરાઈ હતી. જેના વિરોધમાં તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી થઈ નથી. જેને લઈ બાકી રહેલા કેનાલનું કાર્ય પૂર્ણ કરવાની માંગ સાથે આ સભા આયોજિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે આપેલ મીડિયા અહેવાલમાં નર્મદાની દુધઈ સબ પેટા કેનાલના બાકી રહેલા કામને કેનાલ મારફતેજ પૂર્ણ કરવામાં આવશે, આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નક્કી પણ થઈ ગયું છે. અલબત્ત વિધાનસભાના અધ્યક્ષના જાહેર થયેલા નિવેદન બાદ કચ્છ કિશાન સંઘ દ્વારા આયોજિત સભા અને ટ્રેકટર મહારેલી પર ક્યાંકને ક્યાંક અસર પડી હોય એવું સક્ષમ સંસ્થાની સભા દરમ્યાન ઉપસ્થિત ખેડૂત પરિવારોની હાજરી પરથી દેખાયું હતું. જાેકે ,સરકારના જવાબદાર પદાધિકારી દ્વારા ખાતરી અપાયા બાદ પણ ઉનાળાના આકરા તાપમાં બાળકો મહિલાઓ સાથેની સભાથી લોકોમાં તર્ક વિતર્ક ફેલાયા છે.કચ્છને નર્મદાના પૂરતા પાણી મળવા અંગે કરેલા આંદોલન બાદ હવે કચ્છ કિશાન સંઘ દ્વારા દુધઈથી ભુજના રુદ્રમાતા સુધીની નર્મદા બ્રાન્ચ કેનાલનું છેલ્લા બે વર્ષથી અટકેલું કાર્ય પાઇપ લાઈનના બદલે કેનાલ મારફત શરૂ કરવાની માંગ સાથે રુદ્રમાતા નજીક પ્રતીક ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. અંજાર અને ભુજ તાલુકાના ખેડૂત પરિવારો સરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં જાેડાયા છે. સભા પૂર્ણ કર્યા બાદ ખેડૂતો રુદ્રમાતાથી ભુજ સુધીમાં ટ્રેકટર રેલી પણ યોજશે, જે ભુજ શહેરના વિવિધ માર્ગો પર ફરી પોતાની માગ બુલંદ કરશે.
