સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ ગણો તો સૌથી વધુ પ્રાચીન ગરબી મંડળ તરીકે જેની ગણના થાય છે સાવરકુંડલા શહેરમાં સર્વોદયનગર જય ખોડિયાર બાળમંડળે હજુ પણ આ પશ્ર્ચિમી સંસ્કૃતિના વાયરા વચ્ચે આપણી ગુજરાતી રાસ ગરબાની અસ્મિતા અને પરંપરા જાળવી રાખી છે તેવા જય ખોડિયાર બાળ મંડળને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થતાં ગરબી મંડળ દ્વારા ગરબા મહોત્સવના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે નવલાં નોરતાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાના ભાગરૂપે જયાં દિકરો, પિતાજી અને દાદાજી ત્રણ પેઢી એક સાથે ગરબા રમતાં જોવા મળે છે. એવા આ ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આમ ગણીએ તો ભારત આઝાદ થયો તે સને ૧૯૪૭ની સાલમાં સ્વાતંત્ર્ય પર્વના ભાગરૂપે ડાયાભાઇ અરજણભાઇએ પતરાંના તેલના ડબામાં માતાજીનો ઘીનો દીવો કરી આ ગરબી મંડળની પરંપરાની શરૂઆત કરી હતી. આજે તે સમયને પંચોતેર વર્ષના વાણા વાઈ ગયા. સમય બદલાયો સરકારો પણ બદલાઈ પરંતુ આ જય ખોડિયાર બાળ મંડળની ગરબી રમવાની પરંપરા તો એની એજ રહી. આ વર્ષે આ ગરબી મંડળ અમૃત મહોત્સવ પર્વ ઉજવી રહ્યું છે ત્યારે અહીં આ ગરબી મંડળ દ્વારા સાવરકુંડલા શહેરમા એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. ખાસ બંગાળી કારીગરો દ્વારા દુર્ગા માની મૂર્તિ પણ માતાજીની આરાધના અર્થે બનાવડાવી છે. લોકોએ પણ આ ભવ્ય અને દિવ્ય મા દુર્ગા શક્તિસ્વરૂપના દર્શન કરી ધન્ય થવાના અવસરનો લ્હાવો માણવા માટે આ જય ખોડિયાર બાળ મંડળ દ્વારા સૌને હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે.


