નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટ દ્વારા નુપુર શર્મા મામલે કરાયેલી ટિપ્પણીઓની કેરળ હાઈકોર્ટના પૂર્વ જજ પીએન રવિન્દ્રને ટીકા કરી છે. તેમણે આ મામલે ચીફ જસ્ટિસ એનવી રમનાને પત્ર લખ્યો છે. જેમા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીઓથી લક્ષ્મણ રેખા ઓળંગી છે. પીએન રવિન્દ્રનના આ પત્રનું ૧૧૭ લોકોએ સમર્થન પણ કર્યું છે. જેમાં ન્યાયપાલિકા, બ્યૂરોક્રેટ્સ અને સેનાના ૧૧૭ પૂર્વ અધિકારીઓ અને જજ સામેલ છે. સીજેઆઈને વધુ એક પત્ર લખાયો છે જે ફોરમ ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ, જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ એટ જમ્મુએ લખ્યો છે. અત્રે જણાવવાનું કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેરળ હાઈકોર્ટના પૂર્વ જજ પીએન રવિન્દ્રનના આ પત્રનું ૧૫ રિટાયર્ડ જજ, ૭૭ રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ, ૨૫ રિટાયર્ડ આર્મી અધિકારીઓએ સમર્થન કર્યું છે. આ પત્ર સાથે જ આ લોકોના હસ્તાક્ષરનો પત્ર પણ મોકલવામાં આવ્યો છે. પૂર્વ જજ જસ્ટિસ પીએન રવિન્દ્રનના પત્રમાં લખ્યું છે કે ‘અમે જવાબદાર નાગરિક તરીકે વિશ્વાસ કરીએ છીએ કે કોઈ પણ દેશનું લોકતંત્ર જ્યાં સુધી તમામ સંસ્થાઓ બંધારણ મુજબ પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે ત્યાં સુધી યથાવત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના ૨ જજે પોતાની હાલની ટિપ્પણીઓમાં લક્ષ્મણ રેખા ઓળંગી છે અને અમને આ નિવેદન બહાર પાડવા માટે મજબૂર કર્યા છે. બંને જજાેની ટિપ્પણીઓએ લોકોને સ્તબ્ધ કર્યા છે. આ ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો ભાગ નથી. એક વ્યક્તિને દેશના અનેક રાજ્યોમાં તેના પર નોંધાયેલા કેસને એકીકૃત કરવાનો તેનો કાનૂની અધિકાર છે.’ નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મૌખિક ટિપ્પણી કરતા રહ્યું હતું કે તેમનું નિવેદન દશભરમાં આગ લગાવવા માટે જવાબદાર છે. તેમણે એ પણ કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર આવીને માફી માંગવી જાેઈએ. આ ટિપ્પણી બાદ રોજ અલગ અલગ સંગઠન ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી રહ્યા છે.
