રાજકોટ
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની તાજેતરમાં જ નિમણુંક કરવામાં આવી છે. જાે કે નરેન્દ્ર સોલંકીની નિમણુંક થતાની સાથે જ ઠેર-ઠેર વિદ્યાર્થી નેતામાં રોષ જાેવા મળી રહ્યો છે અને અન્યાયના સુર રેલાઇ રહ્યા છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્રમાં પણ એનએસયુઆઈ ના સક્રિય નેતાઓને યોગ્ય હોદા ન મળતા નારાજગી જાેવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં સક્રિય વિદ્યાર્થી નેતાને હોદા આપવા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્યો, પ્રદેશના નેતા તેમજ રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રદેશ તેમજ નેશનલ કોંગ્રેસમાં લેખિતમાં ભલામણ કરવામાં આવી હતી. જાે કે આમ છતાં સક્રિય નેતાને અન્યાય થયો હોવાનું જણાતા ચૂંટણી પૂર્વે ભંગાણ ના એંધાણ વર્તાઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર, લલિત કગથરા અને ઋત્વિજ મકવાણા દ્વારા ૧૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ એક પત્ર લખી એનએસયુઆઈ ના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદનને ભલામણ કરવામાં આવી છે. જેમાં એનએસયુઆઈ ના હોદેદારોની નિમણૂકમાં સૌરાષ્ટ્રના એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસમાં સક્રિય નેતાઓંને પ્રદેશ માળખામાં સમાવેશ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી. આમ છતાં ન્યાય નહિ મળતા આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી ૪૦૦ જેટલા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના હોદેદારો સહીત ૪૦૦૦ જેટલા કાર્યકર્તા કોંગ્રેસ છોડે તેવી શક્યતા સેવાઇ રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે હોદેદારોની નિમણૂકને લઇ કોંગ્રેસમાં નારાજગીના સુર રેલાઇ રહ્યા છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ ના પ્રમુખની નિમણુક કર્યા બાદ અમદાવાદમાં વિદ્યાર્થી નેતાઓએ રાજીનામાં આપ્યા હતા. હાલ સૌરાષ્ટ્રમાં પણ આવી પરિસ્થિતિ સામે આવી શકે તેમ છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રના એનએસયુઆઈના સક્રિય વિદ્યાર્થી નેતાઓને યોગ્ય હોદ્દો આપવા રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રના કોંગી આગેવાનોને લખિત રજૂઆત કરી હતી. છતાં યોગ્ય ન્યાય નહિ મળતા વિદ્યાર્થી નેતાઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ એનએસયુઆઈના પ્રમુખ રોહિત રાજપૂતે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. જેમાં તેમણે લખ્યું છે કે ‘મહેનત કરવા વાળની કદર કરજાે, ગયા પછી બધા તેના વખાણ કરતા હોય છે, એ વખાણ નો શું મતલબ જે ગયા પછી થાય, ખબર નથી આગળ હજુ શું સ્થિતિ આવશે.’ આ ટ્વીટમાં તેણે પ્રભારી રઘુ શર્મા, રામકિશન ઓઝા, નીરજ કુંદન, શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને ટેગ કર્યા છે.

