વડોદરા
વાઘોડિયા તાલુકાના જાંબુવાડા, અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના સરપંચો પાસેથી બ્લેન્ક ચેક લઈ રૂપિયા ૨૧.૮૫ લાખની ઊચાપતના આરોપમાં તલાટી કમ મંત્રી અભિષેક ભરતકુમાર મહેતા( વડોદરા, બાપોદ) ની વાઘોડિયા પોલીસે ૧૬ દિવસ બાદ ધરપકડ કરી છે. અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આબલીયાએ ત્રણ ગ્રામ પંચાયતોના રોજમેળમાં સરકારી નાણાંની ઊચાપત સામે આવતા અભિષેક પાસે ખુલાસો માંગ્યો હતો. નિધિ અને રોયલ નામની પોતાના પત્ની અને નજીકના સગાના નામે બોગસ એજન્સી ઊભી કરી ત્રણ પંચાયતો જ નહીં અન્ય ૫૦ જેટલી પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ ગ્રામ પંચાયતના ચેકો આપી સાથે મળીને આયોજનપૂર્વક નાણાંકીય ઉચાપત તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવી છે, ત્યારે વાઘોડિયા તાલુકાના તમામ તલાટીઓને ટીડીઓ કાજલ આંબલીયા દ્વારા પૂછપરછ કરતા એક અધિકારીનુ મૌખિક નામ જાહેર કર્યુ હતું અને આ તમામ ઉચાપત તેના ઈશારે કરાઈ હોવાનું જણાવ્યું હતું. ટીડીઓએ જણાવ્યું હતું કે, તમામ ગ્રામ પંચાયત કાંડમા રૂપિયા ૭૨ લાખ રૂપિયાની ગેરરીતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેવામા તલાટીઓએ માનસિક ત્રાસના આપ્યાના આરોપમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યુ હતું. જાેકે, કૌભાંડમાં સામેલ તમામ ૨૭ જેટલા સંડોવાયેલા તલાટીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંઘાવવા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી આવ્યા બાદ તમામ તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.વાઘોડિયા તાલુકાના ૨૭ તલાટીઓ દ્વારા બોગસ બિલો બનાવી રૂપિયા ૭૨ લાખનું કૌભાંડ આચરનાર તલાટીઓ સામે ગમે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. રૂપિયા ૨૧ લાખના કૌભાંડમાં નાસતા ફરતા તલાટી અભિષેક મહેતાની પોલીસે ધરપકડ કરતાં, ફફડી ઉઠેલા તલાટીઓ સામુહિક ત્રણ દિવસની રજા ઉપર ઉતરી જઇને ટીડીઓને ભીંસમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. જાેકે, ટીડીઓએ જણાવ્યું હતું કે, મારો ઉદ્દેશ તાલુકાનો વિકાસ કરવા સાથે ભ્રષ્ટાચારને અટકાવવાનો છે.
