————–
શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ-કેમ્પસ ખાતે તા.૧૨ મી જુલાઇ સુધી ચાલનારું આ પ્રદર્શન સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે
————–
રાજપીપલા નગરવાસીઓ અને જિલ્લાવાસીઓને મહત્તમ લાભ લેવા જાહેર અનુરોધ
કેન્રી નય ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાતના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૬ ઠ્ઠીથી તા.૧૨ મી જુલાઇ,૨૦૨૨ દરમિયાન રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ-કેમ્પસ ખાતે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોડ સહિત વિવિધ સ્વસહાય જૂથના સખી મંડળોની બહેનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલ “૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસ” અંતર્ગત સખી મેળો અને “વંદે ગુજરાત પ્રદર્શન” ને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા.૧૨ મી જુલાઇ,૨૦૨૨ સુધી દરરોજ સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે, જેનો રાજપીપલા નગરવાસીઓ અને નર્મદા જિલ્લાવાસીઓને મહત્તમ લાભ લેવા જિલ્લા પ્રસાશન તરફથી જાહેર અનુરોધ કરાયો છે.
આજે સાંજે રાજપીપલા મુખ્ય મથકે પ્રારંભાયેલ ઉક્ત સખી મેળો અને “વંદે ગુજરાત પ્રદર્શન” માં વિવિધ સખી મંડળોના-૩૬ અને વિવિધ સરકારી વિભાગોના-૧૪ સહિત કુલ-૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરાયાં છે. નર્મદા જિલ્લાના-૨૭, ભરૂચ જિલ્લાના-૬, વ્યારા-તાપી જિલ્લાના-૨, વડોદરાના-૧ સખી મંડળની બહેનો દ્વારા ઉભા કરાયેલા ઉક્ત સ્ટોલ્સમાં સ્વઉપાર્જિત વિવિધ ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે નાના મોટા ફ્લાવર પોટ, પૂજાની થાળી, કળશ, દીવા, ફિનાઇલ, અગરબત્તી, નાગલી અને કઠોળ પ્રોડક્ટ, લેડીઝ ગારમેન્ટ્સ, અથાણાં, પાપડ, ઓર્ગેનિક પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, લાલ-દેશી ચોખા, સેનેટરી પેડ, કટલરી, આયુર્વેદિક પ્રોડક્ટસ રજૂ કરાયેલ છે. સ્વસહાય જૂથોને આર્થિક ઉન્નતિ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની સ્વરોજગારીલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પુરુ પાડવાની સાથે આર્થિક ઉપાર્જનને વેગ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ સખી મેળો આયોજીત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન હેઠળ કાર્યરત ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ-વસ્તુઓના વેચાણથી સ્વ-સહાય જૂથોની મહિલાઓને આર્થિક મદદ મળી રહેશે. તની સાથોસાથ “વંદે ગુજરાત પ્રદર્શન” નાગરિકો માટે માહિતીપ્રદ અને ઉપયોગી બની રહેશે.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ સખી મેળો અને “વંદે ગુજરાત પ્રદર્શન” ખૂલ્લુ મૂક્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો સાથે તેમણે વિવિધ સખી મંડળના સ્ટોલ્સની મુલાકાત લઇ સ્ટોલમાં વેચાણ અર્થે પ્રદર્શિત ચીજ વસ્તુઓની જાણકારી મેળવી હતી. તદ્ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના હસ્તે ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ કિટ્સ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને સિલાઇ મશીનની કિટ્સ એનાયત કરાઇ હતી.
રાજપીપલાના નગરજનો સહિત નર્મદા જિલ્લાવાસીઓને આ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પ્રસાશન તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


