અમદાવાદ
૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના ૭ સભ્યોની હત્યા સંબંધિત કેસમાં ૧૧ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ ૧૫ વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા. હવે ૧૧ દોષિતોમાંથી એક શૈલેષ ભટ્ટે દાવો કર્યો છે કે તે “રાજકારણના શિકાર” હતા. બિલકિસ કેસ પર શૈલેષ ભટ્ટની પ્રતિક્રિયા જેલમાંથી છૂટ્યાના એક દિવસ પછી આવી છે. ૬૩ વર્ષીય શૈલેષ ભટ્ટે કહ્યુ કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે શાસક ભાજપનો સ્થાનિક કાર્યકર હતા શૈલેષ તેમજ તેમના ભાઈ અને સહ-દોષિત મિતેશ સહિત અન્ય લોકો ગોધરા જેલમાંથી મુક્ત થયા બાદ ગુજરાતના દાહોદ જિલ્લાના સિંગોર ગામ જવા રવાના થયા હતા. આજીવન કેદની સજા પામેલા તમામ દોષિતોને સોમવારે ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ ૧૫ વર્ષથી વધુ જેલવાસ પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે કહ્યુ, “સિંગોર એક નાનુ ગામ છે. તમામ ગુનેગારો આ ગામના છે. અમે બધા રાજકારણનો ભોગ બન્યા હતા.” તેણે કહ્યુ કે તે એક ખેડૂત હતો અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે ભાજપના જિલ્લા એકમનો પદાધિકારી પણ હતો. તેનો ભાઈ પંચમહાલ ડેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. તેણે કહ્યુ, “અમારી ૨૦૦૪માં ધરપકડ કરવામાં આવી હતી અને અમે ૧૮ વર્ષથી જેલમાં છીએ. અમારા પરિવારના સભ્યો સાથે ઘરે રહીને આનંદ થયો. દરેક વ્યક્તિ ખુશ છે કે અમે પાછા આવ્યા છીએ. મારો પુત્ર ત્યારે આઠ કે નવ વર્ષનો હતો. હવે તે પુખ્ત છે અને પંચમહાલ ડેરીમાં કામ કરે છે. હું તેના માટે ખુશ છું.” ૨૦૦૭માં જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની માતાનુ અવસાન થયુ હતુ. તેણે કહ્યુ કે કોર્ટે તેને અંતિમ સંસ્કાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. બીજી તરફ, અન્ય એક દોષિત રાધેશ્યામ શાહે સોમવારે છૂટ્યા બાદ કહ્યુ કે તેઓ બધા નિર્દોષ છે. તેમણે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, “અમને અમુક વિચારધારામાં વિશ્વાસ હોવાને કારણે ફસાવવામાં આવ્યા હતા.” તેણે કહ્યુ કે તેમાંથી એકનુ ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયુ હતુ જ્યારે કેટલાક અન્ય લોકોએ તેમની કેદ દરમિયાન તેમની પત્નીઓ ગુમાવી હતી. આ કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જાેશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.


