મહીસાગર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે દિવસે દિવસે નજીક આવી રહી છે. તેવામાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા તેમજ રીઝવવા માટેના અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા અરવલ્લી જિલ્લામાંથી મહીસાગર જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં લુણાવાડા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજીથી ઉમરગામ સુધી નીકળેલી કોંગ્રેસ પ્રદેશ યુવા પરિવર્તન યાત્રા મહીસાગર જિલ્લામાં આવી પહોંચી હતી. જિલ્લાના લુણાવાડા શહેરના ચાર કોશિયા નાકા મોડાસા હાઇવે રોડ પર આવેલી યાત્રાનું મહિસાગર જિલ્લા કોંગ્રેસ, યુવા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અગ્રણીઓ નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા યોજાઈ હતી. યાત્રામાં યુવાનો દ્વારા હાથમાં પાર્ટીનો ધ્વજ પકડીને ધ્વજ લહેરાવતા લહેરાવતા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. રેલીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર આવશે તો રાહુલ ગાંધીના વચનો તાત્કાલિક પૂર્ણ કરાશે. ખાસ કરીને યુવાઓને રોજગારી કામ જેમાં ૧૦ લાખ યુવાનોને નોકરી આપશે અને કોન્ટ્રાકટ પદ્ધતિ બંધ કરાશે તેમ જણાવાયું હતું અને રાહુલ ગાંધીના વચનો લખેલ પત્રિકાઓનું પણ ચાલુ રેલી દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા લુણાવાડાના વિવિધ માર્ગો,વિસ્તારોમાં ફરીને આગળ બીજે સ્થળે પોહચવા માટે રવાના થઈ હતી.


