વાઘોડિયા
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવતા સારવાર દરમિયાન વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો. વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને વલસાડના વેપારીનો પુત્ર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું હતું, જાે કે આત્મહત્યાનું નક્કર કારણ પોલીસને જાણવા મળ્યું ન હતું પણ પ્રાથમિક તપાસમાં પરિવારે અભ્યાસમાં ઠપકો આપ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. સૌરભભાઈ નરેન્દ્રસિંગ રાજપુરોહિત(૨૨) નામનો વિદ્યાર્થી વલસાડના વેપારીનો પુત્ર હતો અને તે પારુલ યુનિ.માં અભ્યાસ કરવા આવ્યો હતો. તેણે પારુલ યુનિવર્સિટીની અટલભવન હોસ્ટેલના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી પારુલ યુનિવર્સિટીમાં હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી થોડા દિવસોથી ડિપ્રેશનમાં હોવાની સૂત્રોથી જાણકારી મળી હતી અને તેજ કારણે તેને મોતની છલાંગથી હતી. વિદ્યાર્થીએ ભૂસકો મારતાં તેના અવાજના પગલે અન્ય વિદ્યાર્થીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માથા તેમજ ચહેરાના ભાગે તેને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


