Gujarat

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે કરી ભાવવંદના

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસે આવેલા ડીસાની આદર્શ નિવાસી શાળાના બાળકો સાથે કર્યો બાળસહજ સંવાદ
———-
મુંબઇના વયોવૃધ્ધ પ્રવાસી સુશ્રી કે.એન.મહિડાની ક્ષેમ કુશળતાના પુછયા ખબર અંતર
———-
પૂર્વ રાષ્ટ્રપતિની સાદગી જોઇ પ્રવાસીઓ પણ તેમના તરફ સંવાદ માટે આકર્ષાયા
———-
               ગરૂડેશ્વર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે આજે એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે ભાવવંદના કરી હતી.
         સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આવી પહોંચતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી અધિક કલેકટરશ્રી હિમાંશુ પરીખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉપસ્થિત ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓશ્રીએ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો પૂર્વ રાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી.
                મુલાકાત દરમ્યાન પૂર્વ રાષ્ટ્રપતિશ્રી કોવિંદે અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં મુંબઇથી આવેલા વયોવ્રુદ્ધ પ્રવાસી સુ શ્રી કે.એન.મહિડા સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પુછ્યા હતા, વાર્તાલાપ બાદ સુ શ્રી મહિડા ભાવુક થયા હતા અને તેઓએ જણાવ્યુ હતુ કે,અમને આશા ન હતી કે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીશુ અને પૂર્વ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થશે, આજે અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો પ્રવાસ સફળ થયો છે અને માનનીય કોવિંદ સાહેબની સાદાઇથી અમે પરીવારજનો અત્યંત પ્રભાવિત થયા છીએ.
                 ત્યારબાદ વ્યુઇંગ ગેલેરીમાં કેનેડાથી આવેલ ૭ વર્ષિય બાળકી ઝંકાર પંડયા સાથે સંવાદ કરતા પૂર્વ રાષ્ટ્રપતિશ્રીએ બાળસહજ સ્વભાવને પારખીને “YOU ARE LOOKING SO GORGEOUS ”  કહી ચશ્મા પહેરી લેવા આગ્રહ કરી તાળીઓથી ઉત્સાહ વધાર્યો હતો. તો આ તરફ ડીસા આદર્શ નિવાસી શાળાના બાળકો અને પ્રવાસીઓ પણ પૂર્વ રાષ્ટ્રપતિની સાદગી જોઇને તેમની તરફ સંવાદ માટે ઉત્સુક બની આકર્ષાયા હતા જેથી શ્રી કોવિંદે પ્રોટોકોલ તોડીને બાળકોને રૂબરૂ મળવા ગયા હતા અને તેમની સાથે તસ્વિર પણ ખેંચાવી હતી.
                  જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બૂક અર્પણ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિશ્રીની એકતાનગરની મુલાકાત દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટરશ્રી હિમાંશુ પરીખ, નાયબ કલેકટરશ્રી શિવમ બારીયા સાથે રહ્યા હતા.

IMG-20221217-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *