જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના પગલે માનવ જનજીવનની સાથે પશુઓને નાની મોટી અસર પહોંચી છે. ઉપરાંત કાચા-પાકા મકાન ધરાશયી થવાના બનાવો પણ સામે આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર પણ ભારે વરસાદની સ્થિતિના પગલે સાબદુ છે. આ સ્થિતિમાં છૂટ મૂટ ઘટનાઓમાં પણ ત્વરિત રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે તાબડતોપ તંત્ર દ્વારા નુકસાની પેટેની સહાય ચૂકવવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં તા.૦૧-૦૬-૨૦૨૨ થી તા.૧૧-૦૭-૨૦૨૨ સુધીમાં માનવ ઈજાના ૧૩ કેસમાં રૂ. ૫૫,૯૦૦, કાચા મકાનના અંશત નુકસાનના ૫૦ કિસ્સામાં રૂ. ૧.૬૦ લાખ, પાકા મકાનના અંશત નુકસાનના ૨૦ કેસમાં રૂ. ૧.૦૪ લાખ અને પશુ મૃત્યના ૬ કેસમાં ૧.૫૧ લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. આમ, જિલ્લા પંચાયત દ્વારા કુલ ૮૯ કેસમાં ૪.૭૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, ભારે વરસાદની સ્થિતિ સમીક્ષા કરવામાં આવી છે અને સતત ઉચ્ચ સ્તરેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
