રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ ગાથાને જનજન સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું હોય એ વોર્ડ નંબર ત્રણમાં રૂપિયા ૬૮ લાખના વિકાસના પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત શહેરના વોર્ડ નંબર ૩ માં મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ૩૪ વિકાસ કામોનું રૂપિયા ૬૮ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર એનાયત કરવામાં આવ્યો હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા રથના માધ્યમથી વોર્ડ નંબર ત્રણમાં ફરજાના હોલ,ધારાગઢ દરવાજા પાસે,સુખનાથ ચોક રોડ ખાતે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. રથ દ્રારા શહેરના વોર્ડ નં -૩ માં ખ્વાજા નગર, સંધિપરા, જમાલવાડી, પીશોરી વાડા, ધારાગઢ રોડ વગેરે વિસ્તારમાં શહેરીજનોને છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન સરકારશ્રી દ્વારા વિકાસ કાર્યો અંગેની ટૂંકી ફિલ્મ દર્શાવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સવારે પ્રભાત ફેરીના કાર્યક્રમ બાદ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં યોગ અભ્યાસ, વૃક્ષારોપણ પણ યોજવામાં આવ્યું હતું.
આ તકે કોર્પોરેટર શ્રી શરીફાબેન કુરેશી,અસ્લમભાઈ કુરેશી,ટીબીઓફિસરશ્રી ડો. સ્વયં પ્રકાશ પાંડે, ફોરેસ્ટર શ્રી પી બી.બાટવા,વહાબભાઈ કુરેશીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સ્વાગત પ્રવચન પ્રોજેક્ટ ઓફિસર શ્રી વત્સલાબેન દવે દ્વારા અને આભાર વિધિ મેડિકલ ઓફિસર ડો.શૈલેષ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળે કર્યું હતું.
