સુરત
આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે શ્રમિકો નીકળ્યાં હતાં. રોજિંદા ક્રમ પ્રમાણે શ્રમિકો નાવડીમાં બેસીને ઘાસચારો લેવા જતાં હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો ડેમના પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં ૩ શ્રમિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડેમમાં દુર્ઘટના સર્જાયાની જાણ તંત્રની સાથે સ્થાનિકોને થતાં લોકો દોડી આવ્યાં હતાં. ડેમમાં ડૂબેલાને શોધવા માટે સ્થાનિકો અને તંત્ર કામે લાગ્યું હતું. જેમાં હાલ ડેમમાંથી ૫ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયાની પણ શોધખોળ માટે મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક લોકો મૃત્યુઆંક વધે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે. પોલીસે સમગ્ર દુર્ઘટના અંગેનું પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં દુર્ઘટના સર્જાઈ છે. આમલી ડેમમાં નાવડીમાં બેસાડીને શ્રમિકોને વચ્ચે આવેલા ડુંગર પરથી ઘાસ લેવા જતા હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી ડેમમાં ૧૦ જેટલા શ્રમિકો ડૂબી રહ્યાં હતાં. તાત્કાલિક શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૩ શ્રમિકોને બચાવી લેવાયા હતા જ્યારે ૨નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે હાલ ૫ શ્રમિકોની શોધખોળ ચાલુ છે.


