સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર માનવ મંદિર ગેટ સામે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ૨ સંતાનના ૨૮ વર્ષના પિતાએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય પોતાનું વાહન ન હોવાથી કોઇ મજૂરી નહીં મળતા ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હોવાની વિગતો બહાર આવી હતી. જિલ્લામાં લોકો મોતને ભાથ ભીડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે શહેરના યુવાને આર્થિક તણાવના કારણે ઝેરી દવા પીતા મોત થયાની ઘટના બહાર આવી હતી. સુરેન્દ્રનગર માનવ મંદિર ગેટ સામે રાધાકૃષ્ણ સોસયાટીમાં રમણીકભાઈ મૂળજીભાઈ મારૂણીયા સંયુક્ત કુટુંબ સાથે રહે છે. ત્યારે રમણીભાઈનો ૨૮ વર્ષનો પુત્ર રણછોડભાઈએ ઘરે જ તા. ૩૦ માર્ચના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી રણછોડભાઈને સારવાર માટે ટીબી હોસ્પિટલે દાખલ કરાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તા. ૩૧ માર્ચના રોજ રણછોડભાઈનું મોત થયું હતું. બનાવની જાણ થતા ઘટના સ્થળે બી-ડિવિઝન પોલીસ મથકના ગણપતભાઈ દેવથળા, નરેન્દ્રસિંહ ગોહિલ સહિતની ટીમ ધસી ગઇ હતી. મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે, રણછોડ પોતે ડ્રાઇવિંગ કરે છે અને બીજાની ગાડીમાં જતો હતો. પરંતુ પોતાનું વાહન ન હોવાથી, કોઇ કામ-ધંધો ન મળતા આર્થિક પરિસ્થિતિ નબળી થતા ઝેરી દવા પી લીધી હતી. બી-ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાતા વધુ તપાસ જી.બી. દેવથળા ચલાવી રહ્યાં છે.


